સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th February 2020

દેવભૂમિ દ્વારકાના ભીંડા ગામના બોદર પરિવારનું સમાજ સુધારક સ્તુત્ય પગલુ

ભીંડા ગામે એકજ મંડપમાં એક સાથે છ દીકરીઓએ સપ્તપદીના સિંચન કરાવી સમાજને નવો રાહ ચિંધ્યો

 જામનગર, તા. ૧૭: સમાજ શિક્ષિત હોય કે અર્ધ શિક્ષિત, પણ આધુનિક સમયમાં પણ કોઈને કોઈ રૂઢિગત માન્યતાઓ-રીવાજોથી ઘેરાયેલો છે. ત્યારે સમયે સમયે આ રૂઢિગત માન્યતાઓ-રીત રિવાજોમાં પરિવર્તન અનિવાર્ય બની જાય છે.

 

આવી જ એક આહીર સમાજની લગ્ન સબંધિત જૂની પ્રણાલીને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભીંડા ગામના આહીરકુળના બોદર પરિવારે નવું રૂપ આપ્યું છે. જૂની પરંપરાને આંચ ન આવે તે રીતે મધ્ય રસ્તો કાઢી પરિવારની છ દીકરીઓના એક જ દિવસે અને એક જ માંડવે સમૂહ તિથી લગ્ન કરાવી, આધુનિક પરમ્પરાને નવા રસ્તે ઢાળવાનો ઉમદા અને પરિવર્તનશીલ માર્ગ અપનાવી ચરિતાર્થ કર્યો છે.

વર્તમાન સમયમાં દરેક સમાજે સર્વાંગી તમામ સ્તરે વિકાસની રાહ પકડી છે. પરંતુ આ કેડીમાં જુના રીતરીવાજો અને પરંપરાઓ આડખીલી રૂપ બનતા આવ્યા છે. આજે પણ દરેક સમાજના સારા-નરસા પ્રસગોમાં કોઈને કોઈ જૂની માન્યતા-પ્રણાલી વિદ્યમાન છે. આવી માન્યતાઓ દુર કરવામાં અનેક બંધનો અને વડીલોની લાગણીઓને ભેળવી પડે છે. અસકય લાગતી ભેદરેખાને દુર કરવા ગણ્યા ગાઠયા સમાજ આગળ આવતા હોય છે. પરંતુ પરિવર્તન સંસારનો નિયમ છે આ ઉકિતને તમામ સમાજ વણી પરિવર્તન અને સમયની માંગને અનુરૂપ જુના રીતરીવાજોમાં પરિવર્તન કરે તો નવો રાહ ખુલી જશે. આવી જ નવી કેડી કંડારી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયાના ભીંડા ગામના આહીર કુળના બોદર પરિવારે, અહી બહોળો પરિવાર-કુટુંબ ધરાવતા પરિવારે પોતાની દીકરીઓના એક જ દીવસે અને એક જ સ્થળે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, જૂની પ્રણાલીમાં કોઈ છેડછાડ કર્યા વગર બોદર પરિવારના તમામ મોભીઓએ ચર્ચા વિચારણા કરી. પોતાના પરિવારની દીકરીઓના એક જ દિવસે એક જ માંડવે લગ્ન કરવાનો પરિવર્તનશીલ નિર્ણય કર્યો અને અમલવારી પણ કરી. રવિવારે ભીંડા ગામે એક જ મંડપમાં છ દીકરીઓને એક સાથે સપ્તપદીના સંસ્કારનું સિંચન કરાવ્યું છે.

જામનગરમાં બહોળી જનસંખ્યા ધરાવતા આહીર સમાજમાં આ એક ઉમદા કદમ કહી શકાય, કારણ કે જુદા જુદા દ્યરે એક જ દિવસે દીકરીઓના લગ્ન સમયે કુટુંબના એક એક સભ્યો જુદા જુદા પ્રસંગમાં વહેચાય જતા, બીજી તરફ જમણવાર સહીતનો લગ્નનો લખલૂટ ખર્ચો પણ જે તે પરિવાર પર ભારણ સાબિત થતો, સમૂહ તિથી લગ્નની પરંપરાએટલે ધોમ ખર્ચાઓનો અંત, સમયની મારામારી સામે સુયોજિત આયોજન, સગા સંબધીઓ પણ એકમેકના બનીને રહે, પરિવાર વચ્ચે તાલમેલ જળવાઈ રહે,એક સૂત્રતા સધાય અને સૌથી મોટી વાત કે આજના દેખા દેખીના યુગમાં તમામ વાલીઓને એક જ માંડવે ખંભે ખંભા મેળવી કોઈ ભેદભાવ કે ખોટા ખર્ચ વગર પોતીકા પ્રસંગની તમામ કુટુંબીઓ વચ્ચે ઉજાણી કરી શકે. આ તમામ પાસાઓનો વિચારને વહેતો કર્યો હતો આહીર સમાજના ઉત્થાન માટે રચાયેલ યુવાઓના ગ્રુપ કાન્હા વિચાર મંચથી, આ વિચારશીલ ગ્રુપ દ્વારા સમાજમાં વિદ્યમાન જૂની પરંપરાની યાદી તૈયાર કરી પાંચ રીતરીવાજોમાં થોડો ફેરફાર કરી વર્તમાન સમયને અનુરૂપ સમાજમાં પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાં ભીંડાના બોદર પરિવારે આ ગ્રુપની પાંચ પૈકીની એક વિચારધારાને અપનાવી આહીર ઉપરાંત અન્ય આહીર જ્ઞાતિઓને પણ નવું ઈંજન આપ્યું છે. બોદર પરિવારની આ પહેલને કાન્હા વિચાર મંચના યુવાનોની ટીમે ભીંડા પહોચી બિરદાવી સ્મૃતિ ચિન્હ આપી સન્માન કર્યું હતું. જેમાં બોદર પરિવારના ખીમભાઈ બોદર, હરદાસભાઈ બોદર, બાબુભાઈ બોદર તેમજ કાન્હા વિચાર મંચના નરેશ ડૂવા, પાલભાઈ આંબલીયા, રમેશભાઈ ડાંગર, હિરેન પીંડારિયા સહિતની યુવા ટીમ હાજર રહી હતી.

(1:05 pm IST)