ભાવનગરના પચ્છે ગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરીંગમાં પીપરડીનાં પ્રિયરાજસિંહ જાડેજાનું મોત થતા વિશ્વરાજસિંહ ગોહિલ સામે ગુન્હો
ભાવનગર પંથકમાં લગ્નપ્રસંગે દાંડીયારાસમાં ફાયરીંગ કરતા એકનું મોત નિપજયું છે. જયારે એકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે
ભાવનગર, તા. ૧૭ : ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ રહેતા રામદેવસિંહ તખુભા ગોહિેલના ઘેર તેના પુત્ર ધર્મરાજસિંહના લગ્ન હોય લગ્ન પ્રસંગે ગઇરાત્રે દાંડીયારાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
રાત્રે ૧ર વાગ્યે દાંડીયારાસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે મહેમાન તરીકે આવેલા પચ્છેગામના વિશ્વરાજસિંહ ઉર્ફે ભયલુ ગૌતમસિંહ ગોહિેલએ તેની પાસે રહેલ રીવોલ્વરમાંથી ફાયરીંગ કરતા આ ફાયરીંગ મીસ થઇ લગ્ન પ્રસંગે આવેલા રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના પીપરડી ગામના પ્રિયરાજસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.વ.ર૦ અને શકિતસિંહ સુમનસિંહ જાડેજા ઉ.વ.ર૪ ને ઇજા પહોંચતા બન્નેને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જયાં પ્રિયરાજસિંહ જાડેજાનું મોત નિપજયું હતું. જયારે શકિતસિંહ સારવારમાં છે.
આ બનાવથી લગ્ન પ્રસંગે દાંડીયારાસનાં કાર્યક્રમાં દેકારો મચી ગયો હોય. આ બનાવ અંગે હાર્દિકસિંહ સબળસિંહ જાડેજા (રહે. પીપરડી જી. રાજકોટ) એ વિશ્વરાજસિંહ ઉર્ફે ભયલુ ગૌતમસિંહ ગોહિલ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પો.સ.ઇ. એમ.ડી. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.