ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે રવિવારે જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરવા મહારકતદાન કેમ્પ યોજશે
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૬:.. ધોરાજીમાં ભોમની રક્ષા કરતાં શહીદ થયેલા વિરજવાનોને રકતદાન કરી શ્રધ્ધા સુમન અર્પણ કરાશે. આ કાર્યમાં સામેલ તમામ રકતદાતાઓને રૂા. પ,૦૦,૦૦૦ ની વાર્ષિક અકસ્માત વીમા - પોલીસી અપાશે. ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા આગામી તા. ૧૯ ને રવિવારે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સેન્યના સીડીએસ વડા શ્રી બિપીન રાવત અને તેમના પત્ની અને જે જવાનો સાથે શહીદ થયા છે તેઓને શ્રધ્ધા સુમન અર્પણ કરવા મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ તકે ધોરાજી અને આજુ-બાજુના વિસ્તારના નાગરીકો વિપુલ માત્રામાં રકતદાન કરી આપણા વીર જવાનોને રકતદાન રૂપી શ્રધ્ધા સુમન અર્પણ કરશે. આ કાર્યક્રમમાં દરેક રકતદાતાઓને રૂા. પ,૦૦,૦૦૦ ની વાર્ષિક અકસ્માત વીમા પોલીસી ભેટ રૂપે આપવામાં આવશે. જેથી દરેક રકતદાતાઓએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે લાવવા આયોજકો તરફથી વિનંતી કરાયેલ છે. આ રકતદાન કેમ્પને માન બિલ્ડર્સ રાજકોટ વાળા વિપુલભાઇ ઠેસીયાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાશે.
સફળ બનાવવા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, વડોદરાના શ્રી સંતોકબા ચેરીટેબલ ટ્રસ્ટના અતુલભાઇ ઠકકર ધોરાજીની જુદી - જુદી સંસ્થાના કાર્યકર્તાઓ અને હોદેદારો સહિતની ધોરાજીની તેમજ અન્ય સામાજીક સંસ્થા વિવેકાનંદ પરિવારના સભ્યો સહિતના લોકો સક્રીય રીતે હાજર રહેશે. આ તકે વધુને વધુ લોકો રકતદાન કરવા આગળ આવે અને રકતદાન કરી અમર વીર જવાનોને શ્રધ્ધા સુમન અર્પણ કરે તેવી નમ્ર અપીલ કરવામાં આવે છે. ખાસ નોંધમાં બહેનો માટે અલગથી રકતદાન થાય તેવી અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે.