મહારાષ્ટ્રના આશિષનું ધ્રોલ નજીક ઉલ્ટી થયા બાદ મોત
ટ્રક લઇ મહારાષ્ટ્રથી જામનગર જતી વખતે બનાવ
રાજકોટ તા. ૧૬: મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના બર્માવાડીમાં રહેતાં આશિષ ભરતભાઇ સોલવાણી (ઉ.વ.૨૭)ને ધ્રોલ નજીક આશાપુરા હોટેલ પાસે ઉલ્ટી થતાં તબિયત બગડતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ આજે વહેલી સવારે અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી.
આશિષ એક બહેનથી મોટો અને પરિવારનો એક જ આધારસ્તંભ પુત્ર હતો. તે પાંચ દિવસ પહેલા મહારાષ્ટ્રથી ટ્રક લઇ જામનગર જવા નીકળ્યો હતો. તેની સાથે બીજા બે ડ્રાઇવર-ક્લીનર પણ હતાં. તેની સાથેના વેગનાથના કહેવા મુજબ આશિષને સતત ઉધરસ ચાલુ થઇ ગઇ હતી અને બાદમાં ઉલ્ટી થયા પછી તબિયત બગડી ગઇ હતી. રાજકોટ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.