જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું આયોજન:મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા
7 મહિના બાદ મંદિર સંપૂર્ણ ખોલતા હરિભક્તોમાં હરખની હેલી :મોટીસંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા : પ્રવેશ દ્વાર પર સેનિટાઇઝર ટનલ બેસાડાઇ
જૂનાગઢ :દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં રવિવારે છપ્પનભોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ છપ્પનભોગની સાથે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. કોરોના સંક્રમણના કારણે સ્વામિનારાયણ મુખ્ય મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જોકે દિવાળીના દિવસે મંદિર ખોલવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.
કોરોના સંક્રમણને કારણે સ્વામિનારાયણ મંદિર પાછલા છ મહિના કરતાં વધુના સમયથી બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈને મંદિર સંપૂર્ણપણે ખોલવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાન સ્વામિનારાયણની આરતી સહિત છપ્પન ભોગના છ મહિના બાદ દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મંદિરમાં પ્રવેશ કરવા માટે દ્વાર પર સેનિટાઇઝર ટનલ બેસાડવામાં આવી છે. આ ટનલમાંં દરેક હરિભક્તોએ ફરજિયાત 6 સેકન્ડ સુધીનો વિશ્રામ કરીને ત્યાંથી પસાર થઈ મંદિર પરિસરમાં આવી શકે છે.