સોમવારથી સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો
મેળા દરમિયાન ચાર દિવસ સુધી દરરોજ મંદિર રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે
પ્રભાસપાટણ, તા. ૧૬ : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. ૧૯ ને સોમવારથી તા. રર સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મેળા દરમિયાન તા. ૧૯થી રર શ્રી સોમનાથ મંદિર રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને તા. ર૩ નવેમ્બરના રોજ સોમનાથ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમાના મેળા દરરોજ રાત્રે ૯ કલાકે યોજાનાર કાર્યક્રમો યોજાશે. તા. ૧૯ મેઘાબેન ભોસલે-વડોદરા-ગુજરાતી-લોકગીતો, તા. ર૦ નરસિંહ મહેતા-જીવન કવન આધારિત નાટય-નૃત્યુ-ઓડીયો-વિઝયુલ, સુરીલી સગરમ-અમદાવાદ સલિલ મહેતા નિર્મીત-દિગ્દર્શીત -કાજલ ઓઝા-વૈદ્ય લિખીત આ નાટકમાં ૪પ કલાકારો ભાગ લેશે.
તા. ર૧ અલ્પાબહેન પટેલ-લોકગીત-ગઝલ-ભજન, તથા હરિસિંહ સોલંકી-હાસ્ય કલાકાર, તા. રરના યોગેશપુરી ગોસ્વામી-નારાયણ ઠક્કર, સુપ્રસિદ્ધ લોકગીત-ભજનીક કલાકાર. તા. ર૩ના માયાભાઇ આહીર-લોકસાહિત્ય કલાકાર તથા બિરજુ બારોટ-લોકગાયક કાર્યક્રમ રજૂ કરશે.
સોમનાથ મહાદેવનો મેળો પ્રારંભમાં મંદિરની પાસે જ યોજાતો ત્યાર બાદ દરિયાકાંઠે વાઘેશ્વરી માતાજી મંદિર પાસે યોજાતો અને ઉતરોત્તર મેળામાં ભીડનો વધારો થતો રહેતા ત્યારબાદ ત્રિવણી સંગમ પાસે આવેલ ગોલોકધામ મેદાનમાં યોજાતો અને ત્યાં પણ ભીડ વધતા હવે બાયપાસ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના વિશાળ મેદાનમાં યોજવામાં આવે છે.
મેળા અંગે રેલ્વે તરફથી વિશેષ ટ્રેન તેમજ વધારાના કોચ લગાડવા જાહેરાત થઇ ચૂકી છે તો એસ.ટી. પણ વધારાની બસો દોડાવશે.