વાંકાનેર લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિની પ્રેરક ઉજવણીઃ ગાય અને પક્ષીના ચણ માટે ૨.૧૬ લાખ એકત્ર કર્યા
વાંકાનેર તા.૧૬: લોહાણા સમાજ દ્વારા પુ. જલારામ બાપાની જન્મ જયંતિને યાદગાર અને પ્રેરણારૂપ ઉજવણી કરાઇ હતી.
વિશ્વ વંદનિય સંત શ્રી પ.પૂ. જલારામ બાપાની જન્મ જયંતિએ લોહાણા સમાજ દ્વારા જ્ઞાતિની વાડીએ આગલે દિવસે 'ભકિતસંધ્યા'નો પ્રોગ્રામ રાખવામાં આવેલ. જેમાં રાજકોટ અને ગોંડલના કલાકારોએ પૂ. જલારામ બાપાના ગીતો-ધુન અને તેની જીવનશૈલીની સંગીત સાથે રજુ કરી રાત્રીને જલારામ મય બનાવી હતી.
સંગીત સંધ્યામાં વાંકાનેરનો રઘુવંશી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને જલારામ બાપાની ધુન-ભજનનો લ્હાવો લીધો હતો સાથે વર્તમાન સમયમાં આ વર્ષ અપુરતા વરસાદને લઇ અબોલ જીવો ગૌમાતા માટે ઘાસચારો અને પક્ષીઓને ચણનાં પ્રશ્ને સેવા કરતી સંસ્થાઓ માંથી ઘાસ અને ચણની ઘટ ની બુમરાણ સાંભળવા મળી રહી છ. ત્યારે રઘુવંશી સમાજ હંમેશા કાંઇક આપવાની ભાવના ધરાવતો આ સમાજના ઉપસ્થિત અગ્રણીઓ વેપારીઓ દ્વારા પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે રાખવામાં આવેલ સંગીત સંધ્યામાં પ્રસ્તાવ રજુ થતા માત્ર બે કલાકમાંજ બેલાખ સોળ હજારની રકમ એકત્ર થઇ ગઇ હતી. આ લાભ લેવાનું ઉપસ્થિત મહિલાઓ પણ ચુકી નહતી તેઓએ પણ બચત કરેલી રકમ ગૌમાતા માટે ઘાસચારો અને પક્ષીઓ માટે ચણમાં વાપરવાની આ રકમમાં સહભાગી બની હતી અને પ્રેરણારૂપ કાર્ય કયુંર્ હતું.
જલારામ જયંતિએ સવારે સાડા દસ વાગ્યે શહેર મધ્યેના માર્કેટચોકમાં મંડપ છાવણી ઉભી કરી પૂ. જલારામ બાપાની દિવ્ય પ્રતિમા સમક્ષ જ્ઞાતિના સર્વે અગ્રણીઓ ઉપરાંત લોહાણા મહાજન, યુવક મંડળ અને રઘુવંશી સોશ્યલ ગૃપના સર્વે હોદેદારોની ઉપસ્થિતિમાં પૂ. જલારામ બાપા સમક્ષ દિપ પ્રાગટય- આરતી બાદ મોટીમાત્રામાં બાપાને પ્રિય ગુંદી-ગાંઠિયાના પ્રસાદનું વિતરણ કર્યું હતું. જેનો હજ્જારો નગરજનોએ લાભ લીધો હતો. તેમજ સાંજે ૬ વાગ્યાથી શ્રી લોહાણા મહાજન વાડીમાં જ્ઞાતિની નાત જમણ યોજાયેલ જેમાં વાંકાનેર સમસ્ત લોહાણા સમાજે એક પંગતે બેસી પૂ. જલારામબાપાનો પ્રસાદ લીધો હતો.