મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીનો ભરડોઃ ૩૦ ટકા ઉત્પાદન કાપઃ રોજગારીને અસર
પહેલા રોજ ૫૦૦૦ થી ૬૦૦૦ ગાડીઓ લોડિંગ-અનલોડિંગ થતી હતી હવે માત્ર ૩૦૦૦ થી ૩૫૦૦
નવી દિલ્હી, તા.૧૬: દેશમાં ચાલી રહેલી આર્થિક મંદીથી બધા જ ઉદ્યોગો એની ઝપટમાં આવી ગયા છે. મોરબી શહેરને સિરામિક ઉદ્યોગનું મુખ્ય મથક ગણવામાં આવે છે. ભારત સહિત વિદેશમાં પણ ટાઇલ્સ મોકલવામાં આવે છે. દેશમાં ટાઇલ્સ ઉત્પાદનનો મોટો ફાળો ધરાવે છે. પરંતુ હમણાં એના ઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો કાપ જોવા મળ્યો છે. લાખો લોકોના રોજગાર પર માઠી અસર પડી છે.
મોરબીને સિરામિક ઉદ્યોગ માટે વિશ્વ વિખ્યાત શહેર માનવામાં આવે છે અને દેશમાં ચાલી રહેલી મંદીના ભરડામાં સિરામિક ઉદ્યોગને ખૂબ મોટી અસર જોવા મળી રહી છે અને ૩૦ ટકા જેટલો ઉત્પાદનમાં કાપ કરી દેવામાં આવ્યો છે. હાલમાં જ પ્રદૂષણના કારણે ૪૦૦ કરોડ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. હજૂ તો આ દંડનો સામનો કરી રહ્યા છે તો આ મંદીના કારણે સિરામિક જગતમાં મોટો ફટકો પડયો છે. મોરબી ટ્રાન્સપોર્ટસ અનુસાર પહેલાં મોરબીમાં પ્રતિદિવસે પાંચ હજારથી છ હજાર ગાડીઓ લોડિંગ-અનલોડિંગ થતી હતી. પરંતુ હવે માત્ર ત્રણ હજારથી સાડાત્રણ હજાર ગાડીઓ લોડ-અનલોડ થાય છે. નેચરલ ગેસ જે સિરેમિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વાપરવામાં આવે છે. સ્વભાવિક છે કે ઉત્પાદનમાં કાપ આવ્યો હોવાથી ગેસના વપરાશમાં ઘટાડો નોંધાયો છે.