ગારીયાધાર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘની માંગ
ગારીયાધાર તા.૧૬ : ગારીયાધાર તાલુકામાં જીલ્લામાં સૌથી ઓછો વરસાદ ધરાવતા તાલુકાને પુર્ણ રીતે અછતગ્રસ્ત તાલુકો જાહેર કરવાની માંગણીઓ સાથે ભારતીય કિસાન સંઘ ગારીયાધાર દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
આવેદન પત્રમાં ખેડુતોને સ્પર્શતા ૧ર જેટલા મુદ્દાઓ સાથે આવેદન અપાયું હતું. જે મુદ્દાઓમાં પુર્ણ રીતે અછતગ્રસ્ત તાલુકાની માંગણી ખેડુતો દ્વારા બેંકોનું ધિરાણ માફ કરાવવું ગારીયાધાર તાલુકાના ખેડુતોને પાક વિમો આપવો ૧૦૦% વિજળી બીલની માફી, ખેડુતોના ખેત ઓજારોને જીએસટી બીલમાંથી બાદબાકી ખાતરોનો ભાવ વધારો પરત ખેંચવો, બવાડી-બવાડા પાસે ડેમની મંજુરો આપઘાત કરતા દેશના ખેડુતોના પરીવારને ભરણપોષણ, સમાન સિંચાઇના દરો લાગુ કરવી, ખેડુતોની ઉપજના પુરતા ભાવો આપવા અને ધારાસભ્યો અને સાંસદસભ્યોના પગાર વધારો પાછો ખેંચવાની માંગણીઓ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી.
આવેદનપત્ર આપવા દરમિયાન ગારીયાધાર તાલુકા કિસાન સંઘ મંડળ સહિત શહેર અને ગ્રામ્યના ખેડુતો પણ જોડાયા હતા. મામલતદાર કચેરી ખાતે ''જયજવાન અને જય કિસાન'' ના નારાઓ પણ લગાવાયા હતા. (૬.૯)