પાલીતાણાના રંડોળામાં લુંટના ઇરાદે વૃધ્ધ દંપતિની હત્યા
વાડી વિસ્તારમાં રહેતા કરશનભાઇ રાઘવભાઇ રંગપરા (ઉ. ૭૭) અને પત્નિ વજુબેન (ઉ.૭પ) ને મોતને ઘાટ ઉતારીને હત્યા કરનારા નાસી છુટયા
ભાવનગરઃ પાલીતાણા પંથકમાં વાડી વિસ્તારમાં રહેતાં દંપતિની ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
ભાવનગર તા. ૧૬: ભાવનગર જીલ્લાનાં પાલીતાણા પંથકમાં લુંટનાં ઇરાદે પતિ-પત્નિની હત્યા થતાં બેવડી હત્યાનાં આ બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
ડબલ મર્ડરની આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાના રંડોળા ગામે વાડી વિસ્તારમાં રહેતા દંપતિ ઉપર બોથડ પદાર્થનાં ઘા ઝીંકી પતિ-પત્નિની કરપીણ હત્યા કરી હત્યા કરનારા નાસી છુટયા હતા.
ભાવનગર જીલ્લાનાં પાલીતાણાં તાબેનાં રંડોળા ગલામે વાડી વિસ્તારમાં રહેતાં કરશનભાઇ રાઘવભાઇ રંગપરા ઉ.વ. ૭૭ અને તેના પત્નિ વજુબેન કરશનભાઇ ઉ.વ. ૭પ ની ઘાતકી હત્યાથી નાના એવા રંડોળા ગામમાં સન્નાટો ફેલાઇ ગયો છે. સવારે બનાવની જાણ થતાં જ ગ્રામ્યજનો ઉમટી પડયા હતા.
આ બનાવ અંગે આજે સવારે બનાવની જાણ થતાં જ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ. મહિપાલસિંહ જાડેજા તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. લુંટનાં ઇરાદે આ બેવડી હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે. આ બનાવથી ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે.