ચોરવાડીના મહંતે માર મારી છેડતી કરતા મહિલા સારવારમાં
દવા લેવા ગયેલ મહિલાના શરીરે અડપલા કર્યા
(વિનુ જોશી દ્વારાા જુનાગઢ તા. ૧૬: જુનાગઢ નજીકના ચોરવાડી ગામે આવેલ મંદિરના મહંતે એક મહિલાને માર મારી તેણીની છેડતી કરી શરીરે અડપલા કર્યા હોવાની ફરીયાદ મહિલાએ નોંધાવતા બીલખા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, બગસરા ખાતે રહેતી એક ૪૦ વર્ષીય પરિણીત મહિલા ગઇકાલે બપોરના ૧ર-૩૦ ના અરસામાં જુનાગઢના બીલખા પોલીસ સ્ટેશન હેઠળના ચોરવાડી ગામે આવેલ ખડખડીયા મહાદેવ મંદિરે મહંત સ્વામી રૂદ્રનંદગીરી પાસે દેશી દવા લેવા ગઇ હતી.
ત્યારે મહંત રૂદ્રનંદગીરીએ મહિલાનું બાવડુ પકડી શરીરે અડપલા કરી તેણીના વાંસાના ભાગે બે પાટા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી.
મહંતની આ હરકતથી મહિલા હેબતાઇ ગઇ હતી અને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં દાખલ થયેલ જેની જાણ થતા બીલખાના પોલીસ જમાદાર વી.જે. વિક્રમાએ મહિલાની ફરીયાદ લઇ સ્વામી રૂદ્રનંદગીરી સામે કલમ ૩ર૩ અને ૩પ૪ મુજબ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
મહિલાએ હોસ્પિટલના બિછાનેથી મિડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે, તણી તેની બહેન સાથે પગના દુઃખાવાની દેશી દવા ગયેલ ત્યારે મહંતે રૂમનો દરવાજો બંધ કરી મહિલા પાસે અધટિત માંગણી કરેલ અનેછેડછાડ શરૂ કરતા તેનો વિરોધ કરતા મહિલાને જોરથી મહંતે ધકકો મારી માર માર્યો હતો.
મહિલાએ દેકારો બોલાવતા સાથે આવેલ મહિલા રૂમમાં ધસી આવી હતી અને બંને મહંતની ચુંગાલમાંથી નીકળી ગયા હતા.
ભોગ બનનાર મહિલાને પેટમાં દુઃખાવો ઉપડતા બંને મહિલા જુનાગઢ સિવીલમાં સારવાર માટે દાખલ થયેલ.
આ અંગેની જાણ થતા સ્વામી રૂદ્રનંદગીરીએ ફોન કરીને મહિલાને ફરીયાદ નહિ કરવા ધમકી આપી હતી.
આ અંગેની વિશેષ તપાસ બીલાખાના પી.એસ.આઇ. કે.વી.પરમાર ચલાવી રહ્યા છે.