સોમનાથના સમુદ્રમાં ન્હાવા જવા પર પ્રતિબંધ
પ્રભાસ પાટણ : સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભોૈગોલીક પરિસ્થિતિથી અજાણ હોય છે. અને સમુદ્રમાં ન્હાવા જતાં ડુબી જવાના બનાવો બને છે. સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાય પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં ખુબ જ મોટા વજનદાર ખડકાળ પત્થરો છે જેથી સમુદ્રમાં ન્હાવા પડતા દર્શનાર્થીઓ સહેલાઇથી બહાર આવી શકતા નથી. આ વિસ્તારમાં આવતા સમુદ્રનાં મોજા વાંકાચુંકા તેમજ ઘાતક હોય છે. હાલમાં આ જગ્યાએ નવી ચોપાટી બનાવવાનું કામ શરૂ થયેલ છે. તથા મોટા પથ્થરોના કારણે કોઇપણ વ્યકિત તેના ઉપરથી લપસી સમુદ્રમાં ડુબી જવાની શકયતા રહેલ છે. અમુક કિસ્સામાં અમુક વ્યકિત પોતે આ પવિત્ર યાત્રાધામમાં દર્શન કરી પોતાના આત્માને મોક્ષ મળશે તેવા વિચાર ધરાવી સમુદ્રમાં પડી આત્મ હત્યા કરે છે. છેલ્લા દસ વર્ષમાં પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે આવા ઘણા બનાવો નોંધાયેલા છે. આથી આવા બનાવો અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.આર. મોદીએ ફોજદારી કાર્યવાહી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સતાની રૂએ સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફથી અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પુર્વ-પヘમિ બંને સાઇડના આશરે ૪ કિલોમીટર વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઇપણ વ્યકિતએ સમુદ્રમાં નાહવા કે પગ બોળવા જવું નહી કે સમુદ્રમાં ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. આ આદેશ તાત્કાલિક અરસથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેમને લાગુ પડશે નહીં.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)