રાણાવાવના અણીયારીમાં સોનલબેન સળગીઃ ઠારવા જતાં પતિ પણ દાઝયો
મગજ ભમતો હોવાથી પગલું ભર્યાનું કોળી મહિલાનું કથન
રાજકોટ તા. ૧૪: પોરબંદરના રાણાવાવ તાબેના અણીયારી ગામે કોળી પરિણીતાએ અગ્નિસ્નાન કરી લેતાં અને ઠારવા જતાં પતિ પણ દાઝી જતાં બંનેને પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
અણીયારી રહેતાં સોનલબેન લાખાભાઇ સોલંકી (ઉ.૩૫)એ રાત્રે દસેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેની ચીસો સાંભળી પતિ લાખાભાઇ કાનાભાઇ સોલંકી (ઉ.૪૦) દોડી આવ્યા હતાં. પત્નિને ઠારવા જતાં તે પણ દાઝી જતાં બંનેને દાખલ કરાયા છે.
સોનલબેનના લગ્ન સતર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તેણીના માવતર રાણાવાવ રહે છ. પિતાનું નામ નારણભાઇ પુંજાભાઇ છે. સોનલબેનના કહેવા મુજબ તેનો મગજ ભમતો હોવાથી આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના એએસઆ પી.એન. ત્રિવેદીએ રાણાવાવ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)