ટંકારા ઓવરબ્રિજની છત ભરવાનું મુહૂર્ત કયારે?
ટંકારા,તા.૧૬: રાજકોટ મોરબી હાઇવે રોડઙ્ગ બનાવવાની કામગીરી ચાલે છે .તેમાં ટંકારા ખાતે લતીપર ચોકડીએ ઓવર બ્રિજ બની રહેલ છે. તેની કામગીરી બે વર્ષે પણ પૂરી થયેલ નથી. ઓવરબ્રિજની છત ભરવાની બાકી છે. ટંકારામાં ફેબ્રુઆરી માસમાં યોજાયેલા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી રૂષિ બોધોત્સવ માં રાજયપાલ પધારેલ. ત્યારે રાતોરાત ઓવરબ્રિજની નીચેના રસ્તાઓ ખુલ્લા કરાયેલ .તેને પણ છ માસ જેટલો સમય વિતી ગયો છે. પરંતુ હજુ સુધી ઓવર બ્રિજ ની છત ભરવામાં આવેલ નથી. આ જ રીતે ઓવર બ્રીજની બન્ને તરફ, રાજકોટ તથા મોરબી તરફ ઢાળીયા બનાવવાના છે તે કામ પણ અધૂરું છે. વાહન ચાલકો તથા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ટંકારા ખાતે રોડની કામગીરીમાં એક શાળા ની દીવાલ તોડી પડાયેલ છે. ત્યાં નવી દીવાલ બનાવવાની હતી તે પણ બનેલ નથી. ફકત લોખંડના સળિયા દેખાય છે. ટંકારા મોરબી પાસેથી જિલ્લા કલેકટર,માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અનેક વખત પસાર થાય છે ,પરંતુ ઓવરબ્રિજની અધુરી કામગીરીઙ્ગ નજરે ચડતી નથી.
ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ ભાગીયાએ ઓવર બ્રિજની કામગીરી તાકીદે ચાલુ કરવાની રજૂઆત કરેલ છે.