સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

અમરેલી જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે : પાક નિષ્ફળ જવાની ભીતિ

રાજુલા, તા. ૧૬ : અમરેલી જિલ્લાના ૧ર તાલુકાઓમાં ખેડૂતોએ સારા વર્ષની આશા સાથે  કપાસ અને મગફળીનું વાવેતર વિપુલ પ્રમાણમાં કર્યું હતું. અમરેલી, બાબરા, લાઠી, લીલીયા, રાજુલા, જાફરાબદ, ખાંભા, ધારી, બગસરા, સા.કુંડલા, કુંકાવાવ તાલુકામાં મોટભાગના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો હતો. ખેડુતોએ હોંશે હોંશે વાવણી કરી હતી.

પરંતુ પાછળથી વરસાદ ખેંચાતા અને મોટાભાગના તાલુકાઓમાં આંગણીને વેઢે ગણી શકાય તેટલા જ ગામોમાં વરસાદ થતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે, જેઠ મહિનાની આખરમાં થયેલા વરસાદ પછી ખેડૂતોએ ઘાસચારા માટે સાચવી રાખેલુ ઘાસ વહેંચી દીધું છે.

અમુક મોટા ખેડુતોએ ઘાસચારો દાનમાં પણ આપી દીધો છે એવી આશા સાથે ખેડૂતોએ ઘાસચારો વહેંચ્યો કે દાનમાં દીધો કે હવે વરસાદ થઇ ગયો છે. પંદરેક દિવસમાં નવો ઘાસચારો ઉગી નીકળશે, પરંતુ જેમ જેમ વરસાદ લંબાતો ગયો તેમ તેમ ઘાસચારાની તંગી ખેડૂતો અને માલધારીઓને અત્યારે પડી રહી છે.

પિયત વિણોણા ખેડૂતોએ પ્રથમ વરસાદ પછી કપાસ અને મગફળીનું જે વાવેતર કર્યું ત્યાં સમયસર જરૂર પડતો વરસાદ ન થતા જિલ્લાભરના ૧ર તાલુકામાં મોટાભાગના ગામોમાં વાવણી નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે. કેટલાક ગામોમાં તો વાવણી થઇ જ નથી, જે ખેડૂતોએ મફગળીનું વાવેતર કર્યું છે ત્યાં મગફળી પાણી ઝંખે છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને પાક વીમાના પ્રશ્ને હરહંમેશ અન્યાય થયો છે. પાક વિમાની રકમ સમયસર અને પૂરતી મળતી નથી. આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘાભાવના ખાતર, બિયારણ ઉધાર ઉછીના કરી ખરીદી વાવણી કરી હતી, પરંતુ વરસાદ માટે ધોરી ગણાતો અષાઢ મહિનો શરૂ થઇ ગયો છે, પરંતુ વરસાદના કયાય વાવડ નથી. આ વર્ષે વરસાદ પણ ધીમી ગતિએ અને જયા પડે ત્યાં ર થી ૩ કિ.મી.ની રેન્જ મુજબ વરસે છે. ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

રાજુલાના ખેડૂત જાગીરદાર મનુભાઇ ધાખડા (વડલી)ના જણાવ્યા અનુસાર આગામી બે પાંચ દિવસમાં જો આ વિસ્તારમાં પૂરતા પ્રમાણ સર્વત્ર વરસાદ નહિ થાય તો જે ખેડૂતોએ મગફળી, કપાસ, કઠોળનું વાવેતર થોડા વરસાદ પછી કર્યું છે તે સદંતર નિષ્ફળ જશે અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઇ જશે. સરકારે પણ આવી વિષમ સ્થિતિમાં ખેડૂતોનો બાકી નીકળતો પાક વીમો સત્વરે ચૂકવવો જોઇએ.

(1:25 pm IST)