સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

બર્ડ સીટી જામનગરમાં આગામી ત્રણ મહિના માળાની વસાહતો શોધવા કરાશે હેરોનરી સર્વે

બર્ડ કધઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારાઃ જામનગરમાં આયોજન કરાયું જામનગર અને દ્વારકાના ૪૦ થી વધુ સ્થળો પર કરાશે વસાહતોની ગણતરી

જામનગર તા.૧૬: વિશ્વ પ્રસિધ્ધ બર્ડ સેન્ચુરી ખીજડીયા બર્ડ સેન્ચુરી અને નરારા ટાપુ, પીરોટન ટાપુ સહિતના ટાપુઓ હાલાર પંથકમાં હોવાથી ભૌગોલીક દ્રષ્ટીએ પક્ષીઓ માટે આ વિસ્તારો સ્વર્ગ સમાન છે અનેક દેશ વિદેશના પક્ષીઓ જામનગર અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં વસાહતો બનાવી માળા કરે છે ત્યારે રાજયના અન્ય જિલ્લાઓની સાથો-સાથ જામનગર અને દ્વારકામાં પણ આગામી ત્રણ મહિના સુધી હેરોનરી સર્વે હાથ ધરવામાં આવશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ત્રણ મહિના પક્ષીઓના માળા અને વસાહતો શોધવા માટે રાજયભર સાથે હેરોનરી સર્વે યોજાનાર છે.

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા આગામી ચોમાસા દરમિયાન હેરોનરી સર્વે (પાણી કાંઠાના સ્થાનિક પક્ષીઓના માળા-વસાહતોનું સર્વેક્ષણ)નું આયોજન કરવામાં આવ્યું છે, વિવિધ બગલા, કાંજિયા, કાંકણસર તથા ઢોંક જેવા પક્ષીઓ વૃક્ષામાં સામુહિક માળા કરતા હોય છે, સામાન્ય રીતે તળાવ, સરોવર કે દરિયા કાંઠાની નજીક આવી માળા-વસાહતોનું નિર્માણ થાય છે.

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી-ગુજરાત સદસ્યો તેમજ અન્ય પક્ષીપ્રેમીઓ પક્ષીવિદ્રો દ્વારા આગામી જુલાઇથી ઓકટોબર ત્રણ મહિના દરમિયાન આ માળા-વસાહતોનું સર્વેક્ષણ કરવામાં આવશે. જે પક્ષીજગતના જિજ્ઞાસુ નાગરિકો, પ્રકૃતિપ્રેમીઓ, ગ્રામ્ય વિસ્તારના લોકો અને વિદ્યાર્થીઓ આવી માળા વસાહતોની જાણકારી હોય તેઓએ જામનગર લી.સી.એસ.જી.ના યશોધનભાઇ ભાટીયા ૯૮૨૪૦ ૪૦૪૦૯ અને જયદેવસિંહ રાઠોડ ૮૮૬૬૩ ૨૦૩૨૦ને ફોન પર માહિતી આપવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે, જામનગરના પક્ષીપ્રેમીઓની મીટીંગ આયોજન અંગે યોજવામાં આવી હતી. જેમાં પક્ષીવિદ્ શાંતિલાલ વરૂ, ડો.મેહુલ ભડાણીયા, જગત રાવલ, સુરજ જોષી, રાજદીપસિંહ, હાર્દિક પાલા અને આશિષ પાણખાણીયા સહિત અનેક પક્ષીપ્રેમીઓ હાજર રહ્યા હતાઙ્ગ જે આગામી ત્રણ મહિના હાલારના ૪૦ થી વધુ સ્થળો પર હેરોનરી સર્વે કરી તેનો વિસ્તૃત ડેટા તૈયાર કરાશે.

(1:25 pm IST)