જામનગરમાં ભાજપની મહિલા કોર્પોરેટર રણચંડી બન્યા :રેંકડીઓના પ્રશ્ને એસ્ટેટ ઓફિસમાં લાકડી લઈને ઘુસ્યા
રચનાબેન નંદાણિયાએ ઓફિસમાં લાકડીઓ પછાડી અને ટેબલ પરની ફાઈલો ઉછાળી: અધિકારી મુકેશ વરણવા ઓફિસ છોડી જતા રહ્યા
જામનગરમાં મહાનગરપાલિકાની ભાજપની મહિલા કોર્પોરેટર ચણચંડી બન્યા હતા શહેરમાં રેકડીઓના પ્રશ્ને લાંબા સમયથી વિરોધ કરવા છતાં કોઈ અધિકારીએ કાર્યવાહી ન કરતાં તેમણે એસ્ટેટ અધિકારીની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. રચનાબેને ઓફિસમાં લાકડીઓ પછાડી અને ટેબલ પરની ફાઈલો ઉછાળી હતી. મહિલા કોર્પોરેટરનો રોષ જોઈ એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા ઓફિસ છોડી જતા રહ્યા હતા.
શહેરના તળાવ પાસે રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને કોર્પોરેશનના અધિકારીઓ હેરાન કરતા હતા. આ નાના વેપારીઓએ પોતાના કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તેને લઈને કોર્પોરેટર રચનાબેન કોર્પોરેશનની કમિશ્નર કચેરીમાં લાકડી લઈને ઘૂસી આવ્યા હતા અને તોડફોડ મચાવી હતી.
તેમણે કહ્યું કે, હું પોલીસથી ડરતી નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં વોર્ડ નંબર-4ના કોર્પોરેટર રચનાબેન મનપા સંકુલમાં લાકડી લઈ સીધા જ આસી.કમિશ્નર મુકેશ વરણવાની ચેમ્બરમાં ગયા હતા. આસી.કમિશ્નર કંઈ સમજે તે પહેલાં જ ટેબલ પર પડેલી ફાઈલો પર લાકડી મારવાનું શરૂ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તળાવની પાળ પર ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે 10 રેંકડીધારકો ઉભા રહે છે. વાવાઝોડા પહેલા ખાણીપીણીના રેંકડીધારકો તૈયાર કરી આ મુદે એસ્ટેટ કન્ટ્રોલીંગ અધિકારીને રજૂઆત કરવા ગયા હતાં. પરંતુ તેઓ કામમાં હોવાથી મળી શક્યા ન હતાં.
આથી આ બાબતે મે ડેપ્યુટી મ્યુ.કમિશ્નરને રજૂઆત કરી હતી. જો આ રેંકડીધારકોને દૂર કરવામાં કે તેનો માલ જપ્ત કરાશે તો ઉગ્ર પગલાંની ચિમકી આપી હતી. તેમ છતા વારંવાર હેરાન કરાતા કોર્પોરેટર ઉશ્કેરાયા હોવાની વાત સામે આવી છે. જો કે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ કરાઈ નથી.