ભાદર સાથ છોડે તો પાણી વિતરણ સમયમાં ફેરફાર
વોર્ડ નં.૨,૩,૭,૧૩નાં વિસ્તારોમાં અસર થાયઃ હાલમાં ભાદર માંથી ૪૦ પૈકી ૧૧ એમ.એલ.ડીનો ઉપાડઃ બેડી ફીલ્ટર પ્લાન્ટની મુલાકાત લેતા બંછાનિધિ પાની
રાજકોટ, તા. ૩૦ : હાલમાં ઉનાળાની ગરમી કાળોકેર વર્તાવી રહી છે ત્યારે શહેરની જળમાંગમાં દેખીતો જ વધારો થયો છે ત્યારે જો ભાદર ડેમ માંથી પાણી બંધ થઇ જાય તો શહેરનાં જયુબેલી અને ગુરુકુળ ઝોનનનાં વિસ્તારોમાં પાણી વિતરણ સમયમાં ફેરફાર થઇ શકે. હાલમાં ભાદર માંથી રાજકોટને ૪૦ પૈકી ૧૧ એમ.એલ.ડી પાણીનો ઉપાડ કરવામાં આવ્યો છે તેમ મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ.
આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે, આજે સવારે બેડી ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ભાદર ડેમ માંથી થતા પાણી વિતરણનાં વિસ્તારોની સમિક્ષા કરવામાં આવી હતી. ભાદર ડેમ માંથી ચાર વોર્ડમાં પાણી વિતરણ માટે ૪૦ એમ.એલ.ડી પાણી ઉપાડવામાં આવતુ હતુ. હાલમાં ૧૧ એમ.એલ.ડી પાણી લેવામાં આવી રહ્યુ છે. જો ભાદર માંથી ઉપાડ જ બંધ થઇ જાય તો પાણી વિતરણ સમયમાં ફેરફાર કરવો પડે . લોકોને ૨૦ મિનિટ પાણી તો મળી જ રહે તેમ અંતમાં જણાવ્યુ હતુ