પોરબંદર જિલ્લાની ૫૭ શાળાઓમાં નિયમ મુજબ રમતગમતના ગ્રાઉન્ડ નથી
એનએસયુઆઇ દ્વારા ફરિયાદ બાદ તપાસ શરૃઃ પગલા લેવાય નહીં ઉગ્ર આંદોલનની ચીમકીઃ
પોરબંદર તા.૧૬: પોરબંદર જિલ્લાની ૧૨૧ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓમાંથી ૫૭ શાળાઓમાં નિયમ મુજબ ગ્રાઉન્ડ નહીં હોવાની રજૂઆત એનએસયુઆઇના ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરાએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી છે.
રજૂઆત બાદ શિક્ષણ સતાવાળાઓ દ્વારા ગ્રાઉન્ડ વિનાની શાળાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસ બાદ પગલા નહી લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી એનએસયુઆઇ દ્વારા અપાય છે.
પોરબંદર જિલ્લામાં કુલ ૧૨૧ સ્કુલોમાં જરૂરી સુવિધા માટે ૩ દિવસનો કેમ્પ રાખેલ છે જે સ્કુલ પાસે પુરતી સુવિધા નથી તેની પાસે જવાબ માંગેલ છે. ત્યારે પ્રશ્નએ છે કે શાળાની મંજુરી વખતે ચકાસણીમાં કેમ બેદરકારી રાખવામાં આવે છે.
શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટેડ એ નોન ગ્રાન્ટેડ શાળાની ચકાસણીની તપાસ કાર્યવાહી ચાલે છે.
ખાસ કરીને શાળાના બિલ્ડીંગ અને ગ્રાઉન્ડ સહિત પાયાની સુવિધાની તપાસ ચાલી રહી છે. શાળાઓમાં સુવિધા પ્રશ્ને આજથી ત્રણ દિવસનો કેમ્પમાં ગ્રાઉન્ડ સહિત સુવિધા અંગે આધાર પુરાવા માંગવામાં આવેલ છે.