જામનગરમાં આજથી ત્રણ દિવસના સ્વયંભૂ લોકડાઉનમાં મિશ્ર પ્રતિસાદ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ : જામનગરમાં કોરોનાની મહામારીમાં વધી રહેલા સંક્રમણને અટકાવવા આજથી ત્રણ દિવસ માટે વિકેન્ડ લોકડાઉન માટેનો ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.
આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા,ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લખાભાઈ કેશવાલા, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના સહિતના મહાનુભાવોએ લોકોને કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક બંધ માટે અપીલ માટે નિર્ણય લીધો હતો ત્યારે આજે પ્રથમ દિવસે સ્વયંભૂ બંધ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
જામનગરનું મુખ્ય ગ્રેઇન માર્કેટ સંપૂર્ણ બંધ રહ્યું હતું, આ ઉપરાંત બ્રાસપાર્ટના એકમો પણ સંપૂર્ણ બંધ રહ્યા હતા જયારે વિવિધ વિસ્તારોમાં અમુક જગ્યાએ ધંધા-રોજગાર ખુલ્લા જોવા મળ્યા હતા.
જામનગર શહેરમાં આજે ત્રણ દિવસીય સ્વયંભૂ બંધના એલાનને પગલે જામનગર ફેસ ટુ ફેસ ૩ અને શંકર ટેકરી ઉદ્યોગ નગર આજે શુક્રવારના કારણે એનો બંધ નો વાર હોવાથી એ યોગાનુયોગ બંધ જ છે જયારે અન્ય માર્કેટોમાં મિશ્ર પ્રતિસાદ મળેલ છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, નિર્મલ કારીયા, જામનગર)