ભાજપને જૂનાગઢની વધુ ચિંતા ? આજે એક જ દિ'માં મુખ્યમંત્રીની પાંચ સભા
એક લોકસભા ક્ષેત્ર માટે આખો દિવસ ફાળવી ઈતિહાસ સર્જતા મુખ્યમંત્રીઃ સવારે ઉના, બપોરે સૂત્રાપાડા, સાંજે માળિયા અને જૂનાગઢ તથા રાત્રે ભેસાણમાં સભા
રાજકોટ, તા. ૧૬ :. જૂનાગઢ લોકસભા બેઠકમાં આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ એક સાથે પાંચ જાહેરસભાનું આયોજન કરી આશ્ચર્ય સર્જી દીધુ છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી દરજ્જાના નેતાઓ એક દિવસમાં એક લોકસભા વિસ્તારમાં એક-બે સભાઓ યોજતા હોય છે પરંતુ આજે મુખ્યમંત્રીએ આખો દિવસ જૂનાગઢ લોકસભા માટે ફાળવી દીધો છે. ગઈકાલે વિસાવદરની સભામાં ધબડકો થયા પછી ભાજપે જૂનાગઢ બેઠકની વધુ ચિંતા કરવાનું શરૂ કર્યાનંુ જાણ વા મળે છે. જૂનાગઢ બેઠકની સ્થિતિ મુખ્યમંત્રી જાણે છે. લોકસભામાં એક-એક બેઠક અગત્યની હોવાથી મુખ્યમંત્રીએ જૂનાગઢ તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કર્યાનું માનવામાં આવે છે. એક જ દિવસમાં એક લોકસભામાં મુખ્યમંત્રીની પાંચ જાહેરસભા થાય તે ઘટના ઐતિહાસિક ગણાય છે.
મુખ્યમંત્રીનો જે કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ સવારે ૧૦.૪૫ વાગ્યે ઉના, ૧૨.૧૫ વાગ્યે સૂત્રાપાડા, ૪ વાગ્યે માળીયાહાટીના, ૬.૧૫ વાગ્યે જોશીપુરા જૂનાગઢ અને રાત્રે ૮ વાગ્યે ભેંસાણમાં જાહેરસભા યોજવામાં આવેલ છે.