સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

પ્રભાસતીર્થમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું રપમું અધિવેશન સંપન્ન : વિવિધ હોદ્દેદારોની વરણી

પ્રભાસપાટણ તા.૧૬ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શારદામઠ ખાતે તા.૧૩ અને ૧૪ના રોજ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના હજારોની સંખ્યામાં ભૂદેવો મહાઅધિવેશનમાં ઉમટી પડયા આ મહાઅધિવેશનમાં ગીર સોમનાથ સમસ્ત બ્રહ્મ સમાજના યજમાનપદે ઉપસ્થિત રહેલ.યુવાનો દ્વારા બાઇક રેલી, સોમનાથ મહાદેવ, પરશુરામ ભગવાન અને નૂતન રામમંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવેલ. સાંજના સમયે સૌરાષ્ટ્ર કચ્છના ખ્યાતનામ ભૂદેવ કલાકારો દ્વારા સંતવાણી રસપાન કરાવવામાં આવેલ. ક્રાંતીકારી સંત અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુ સહિત સમાજના શ્રેષ્ઠીઓની હાજર રહેલ હતા.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના બંધારણની જોગવાઇ મુજબ સર્વાનુમતે ઠરાવ પસાર કરી અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખપદે છેલભાઇ જોષીની સર્વસંમતીની વરણી કરવામાં આવેલ. મહાઅધિવેશનમાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહેલ પૂજય મુકતાનંદજી બાપુએ સમાજને સંગઠીત થવા અને જાગૃત થવા હાકલ કરેલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ જો સમાજ સંગઠીત થશે તો સામાજીક કે રાજકીય ક્ષેત્રમાં ભૂદેવોને આગળ આવવા કોઇ રોકી શકશે નહી.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના નવ નિયુકત પ્રમુખ છેલભાઇ જોષીએ પોતાની ટીમની પણ જાહેરાત કરેલ હતી જેમાં મહામંત્રી તરીકે સંજયભાઇ જોષી અને ખજાનચી દેવેનભાઇ ઓઝાની નિમણુંક કરેલ હતી અને સંગઠન મંત્રી મનુભાઇ પંડયા તેમજ ગીર સોમનાથ જીલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મિલનભાઇ જોષી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના યુવા પાંખના પ્રમુખ હિતેશભાઇ ઓઝા અને મહામંત્રી તરીકે હેમલભાઇ ભટ્ટ નિમણુંક કરવામાં આવેલ હતી.

કાર્યક્રમનું સંચાલન નિશાંતભાઇ ઋષિ અને શરદભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવેલ તેમ ગીર સોમનાથ બ્રહ્મસમાજના પ્રમુખ મીલનભાઇ જોષીની યાદીમાં જણાવેલ છે.

(11:40 am IST)