નવજોતસિંહ સિદ્ધુ, શત્રુધ્નસિંહા, પરેશ રાવલ કચ્છમાં સભા ગજવશે
ભુજ તા.૧૬: ૨૩મી એપ્રિલના મતદાનનો હવે માંડ એક અઠવાડિયું જ બાકી છે. પણ, કચ્છ અને મોરબી, માળીયા બેઠકમાં લોકસભાની ચૂંટણી માટેનો હજી જોઇએ તેવો ચૂંટણીનો માહોલ જામતો નથી. ત્યારે, મતદારોની ઉદાસીનતાને ખંખેરવા માટે કોંગ્રેસ અને ભાજપ બન્ને રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે પોતાના પ્રયાસો તેજ કરી રહ્યા છે.
બન્ને પક્ષોએ હવે સ્ટાર પ્રચારકોની મદદ લેવાનું નક્કી કર્યું છે. મળતા સમાચારો મુજબ કોંગ્રેસ દ્વારા નવજોતસિંહ સિદ્ધુ તેમજ શત્રુધ્ન સિંહાના કચ્છ પ્રવાસનું આયોજન ગોઠવાઇ રહ્યું છે.
તો, ભાજપ પરેશ રાવલના કચ્છ પ્રવાસ માટે પ્રયાસમાં છે. રાહુલ ગાંધીની ભુજમાં યોજાનાર જાહેરસભાને પગલે ભાજપ હરકતમાં છે. મતદારોને રીઝવવા ભાજપ દ્વારા ભુજમાં પરેશ રાવલના રોડ શોનું આયોજન ગોઠવાઇ રહ્યું છે.