સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

રિલાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા તૈયાર મધ્‍યાહન ભોજન રસોઇઘરનું રૂપાણીના હસ્‍તે ઉદઘાટન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ (RIL)ની સામાજિક ઉત્તરદાયિત્‍વ કાર્યો હાથ ધરતી સહયોગી સંસ્‍થા રિલાયન્‍સ ફાઉન્‍ડેશને ગુજરાત સરકારની મધ્‍યાહ્ન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં એક વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું છે. રાજય સરકારની મધ્‍યાહ્ન ભોજન યોજના બિન-સરકારી સંસ્‍થા (NGO) અક્ષય પાત્ર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ રસોઇઘરનું સંચાલન પણ આ સંસ્‍થા દ્વારા જ થશે. મુખ્‍યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આ ઇમારતનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા મહાનુભાવોમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટીર ઉદ્યોગ વિભાગના રાજયકક્ષાના મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા,  સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્‍ય શ્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ અને અક્ષય પાત્ર ફાઉન્‍ડેશનના  જગમોહન કૃષ્‍ણદાસાનો સમાવેશ થાય છે.

મધ્‍યાહ્ન ભોજન તૈયાર કરવા માટેના આ વિશાળ રસોઇઘરમાં દરરોજ ૫૦,૦૦૦ બાળકો માટેનું ભોજન તૈયાર કરી શકાય છે. રિલાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા રસોઇઘરની ઇમારતના નિર્માણ, રસોઇમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો અને સરકારી અને સરકારી સહાય મેળવતી શાળાઓમાં મધ્‍યાહ્ન ભોજન પહોંચાડવા માટે જરૂરી વાહનો ખરીદવા માટે કુલ રૂ. ૮.૫ કરોડની ફાળવણી કરી હતી. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના રિફાઇનરી કોમ્‍પલેક્‍સની આસપાસ આવેલા જામનગર અને લાલપુર તાલુકાના ગામોની શાળાઓને સહાય કરવા માટે રિલાયન્‍સ ફાઉન્‍ડેશન વધુ રૂ.એક કરોડ પણ આપશે.

કુલ ૪૮૦૦ ચોરસ મીટરના પ્‍લોટમાં નિર્માણ કરવામાં આવેલા આ ભવનનો કુલ બિલ્‍ટ-અપ વિસ્‍તાર ૨૯૬૫ ચોરસ મીટર છે. આ ઇમારતમાં નિર્માણ કરવામાં આવેલી સુવિધાઓમાં રીસેપ્‍શન એરિયા, ડ્રાય અને વેટ કિચન એરિયા, પ્રિ-પ્રોસેસિંગ એરિયા, પ્રોવિઝન સ્‍ટોર, સ્‍ટોર રૂમ, ગોડાઉન, ચેન્‍જિંગ રૂમ, બોઇલર રૂમ, ફર્સ્‍ટ-એઇડ રૂમ, ડોરમેટરી, મલ્‍ટીપર્પઝ હોલ, ગેસ્‍ટરૂમ, એડમિનિસ્‍ટ્રેશન બ્‍લોક વગેરેનો સમાવેશ થાય છે.

આ અંગે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્‍ટર  પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, ‘આ વિશાળ રસોઇદ્યરની સુવિધાનું ઉદઘાટન કરવા માટે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર સુધી આવ્‍યા એ ગૌરવની વાત છે.  હાંસિયામાં ધકેલાયેલા અને નબળા વર્ગના લોકોની જિંદગીની ગુણવત્તા બહેતર બનાવવા માટે રિલાયન્‍સ હંમેશા સમર્પિત છે. બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્‍ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ ભોજન પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાળકોને પોષણક્ષમ ભોજન પૂરું પાડવા માટે ગુજરાત સરકાર, જામનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષય પાત્ર ફાઉન્‍ડેશનને મદદ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ.

(1:03 pm IST)