જુનાગઢમાં વધુ એક બુટલેગરના વિશાળ બંગલા પર બુલડોઝર
ગેરકાયદેસરના બાંધકામ પર બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. આજે સવારથી વધુ એક બુટલેગરનાં વિશાળ બંગલા પર તંત્રએ બુલડોઝર ફેરવી ડિમોલીશન હાથ ધર્યુ છે.
લીરબાઇપરામાં રહેતા દારૃનાં ધંધાર્થી લખમણ ઉર્ફે બબન નાથાભાઇ કોડીયાતરે પેશકદમી કરી વિશાળ બંગલો બનાવી લીધો હોવાનું ધ્યાન પર આવતા કલેકટર ડો. સૌરભ પારઘીની સુચનાથી એસ. ડી. એમ અંકિત પન્નુનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર ચૌહાણ વગેરે દ્વારા આજે સવારથી ડિમોલીશન શરૃ કરવામાં આવેલ.
જો કે ડિમોલીશનની કાર્યવાહી શરૃ થાય તે પહેલા જ લખમણ કોડિયાતર અને તેનાં પરિવારજનોએ ઘર વખરી સહિતનો સરસામાન અન્યત્ર ફેરવી નાખ્યો હતો.
આ કાર્યવાહી દરમ્યાન કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જળવાય રહે તે માટે એસપી રવિ તેજા વાસમ સેટીની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, શ્રી બારૈયા તેમજ ક્રાઇમ બ્રાંચનાં ઇન્ચાર્જ પી. આઇ. શ્રી ભાટી, સી ડીવીઝનના પીએસઆઇ પી. જે. બોદર વગેરેએ સતત ખડેપગે રહીને બંદોબસ્ત જાળવ્યો હતો.
દરમ્યાન બુલડોઝર સહિતના સાધનોની મદદથી બંગલાનું ડિમોલીશન કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.