કોરોનાની મહામારીમાં રોજ લોકોને સ્વખર્ચે ઉકાળો પીવડાવતા કેશોદના નિવૃત અધિકારી
જૂનાગઢઃ કેશોદ શહેરમાં રહેતા નિવૃત અધિકારી વિઠ્ઠલભાઇ ડોબરીયા સ્વખર્ચે કોરોનાની મહામારીમાં ઉકાળો બનાવી લોકોને પીવડાવી રહ્યા છે. કેશોદના મહેશનગરમાં રહેતા અને લેન્ડ રેકર્ડમાં ફરજ બજાવી નિવૃત થયેલા વિઠ્ઠલભાઇએ કોરોનાની મહામારીમાં સેવા કાર્ય શરૃ કર્યું હોય તેમ ઔષધિય ઉકાળાના પેકેટ અને પ્રવાહી તૈયાર કરી લોકો સુધી પહોંચાડ્યા છે. જિલ્લા પંચાયત હેઠળના અગતરાય સ્થિત આયુર્વેદિક દવાખાનાના ડો.સચિન દલાલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે ઔષધિય ઉકાળો તૈયાર કરવામાં આવે છે. વિઠ્ઠલભાઇ દ્વારા સ્વખર્ચે અનેક ગામડાને સેનેટાઇઝ કર્યા છે. સાથો સાથ વહેલી સવારે ૩.૩૦ કલાકે ઉઠી ઔષધિય મિશ્રણયુકત ૯૦ લીટર પાણી ઉકાળી થર્મોસમાં ભરી શહેરના વિવિધ સ્થળો પર ૩ કલાક સુધી લોકો માટે રાખી મુકે છે.