સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

ગીરના જંગલ વિસ્તારમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળ્યો :વન વિભાગમાં દોડધામ

જસાધાર રેન્જમાંથી સિંહ બાળ જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળ્યો

ગીર સોમનાથ : જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત નિપજ્યું છે. જો કે બંન્ને પ્રાણીઓનાં મોત ઇનફાઇટના કારણે થયું હોવાનું ફોરેસ્ટ વિભાગ માની રહ્યું છે. હાલ બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જુદા જુદા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

 

બંન્ને ઘટનાઓની વિગતે મળતી માહિતી અનુસાર જિલ્લાના જંગલ વિસ્તારમાં ગીર પૂર્વની ખિલાવડ રેવન્યુ વિસ્તારની જસાધાર ખાતે આવેલી રેન્જના ટિકરિયા બીટમાંથી ગઇકાલે સિંહ બાળનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેના કારણે વન વિભાગના અધિકારીઓને માહિતી મળતા તેઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં સિંહબાળના મૃતદેહ પર દાંતની ઇજાઓના નિશાન મળ્યાં હતા. આ ઉપરાંત ઘટના સ્થળેથી સિંહના પ્લાગમાર્ક પણ મળી આવ્યા હતા. જેથી સિંહબાળનું ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવાનું પોલીસ માની રહી છે.

સિંહબાળ 3-4 વર્ષનું હોવાનું જણાઇ રહ્યું છે. હાલ સિંહ બાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ સ્પષ્ટ થશે. બીજી ઘટના ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જના ભાણીયા બીટમાં ભૂતડા દાદા વિસ્તારમાંથી દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા વન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇને તપાસ આદરી છે. દીપડીના મૃતદેહ પર ઇજા અને ઘટના સ્થળે સિંહના પ્લાગમાર્ક મળી આવ્યા હોવાથી સિંહ સાથેની ઇનફાઇટમાં દીપડીનું 9-12 વર્ષથી હોવાનું જાણવા મળ્યું છે. દીપડીના મૃતદેહ નજીકના ખાંભા એનિમલ કેર સેન્ટરમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જેનો અહેવાલ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ સ્પષ્ટ થશે.

(12:59 am IST)