સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th December 2019

નખત્રાણા કોલેજ બંધ નહિ થાયઃ ભુપેન્દ્રસિહ ચુડસમાની હાજરીમાં નિર્ણય

ભુજ,તા.૧૪:જીએમડીસી સંચાલિત નખત્રાણા કોલેજ બંધ નહીં કરાય અને સૌના સહકારની સાથે મોટા ઉદ્યોગગૃહો સીએસઆર અને રાજય સરકારનું અનુદાન એ તમામ એકત્ર કરીને આ કોલેજ બંધ ન થાય તેવો ખૂબ મહત્વનો નિર્ણય કચ્છ જિલ્લા માટે લેવાયો છે, તેમ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ઉમેદભુવન ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથેની એક બેઠકમાં જણાવ્યું હતું.

આ બેઠકમાં કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત એમ.વી. અને એમ.પી. રામાણી આર્ટસ એન્ડ આર.કે.ખેતાણી કોમર્સ કોલેજ, નખત્રાણા દ્વારા પગાર અને વહીવટી ખર્ચ સહિત કુલ રૂ. ૧૯૬.૨૦ લાખની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તે દરખાસ્તને ડિસ્ટ્રિકટ મિનરલ ફાઉન્ડેશન, ભુજ દ્વારા માર્ચ-૨૦૧૯માં કુલ ૧૯૬.૨૦ લાખની મંજૂરી આપવામાં આવી હોવાની અને તેમજ નખત્રાણા કોલેજ ખાતે હાલ ભરાયેલ કુલ મહેકમ પૈકી ૧૭ મહેકમ યુજીસીના નિયમો મુજબ હોવાથી મહેકમને પગાર/વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો અપાઇ હતી. આ પ્રસંગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર, કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેકટર એમ.નાગરાજન, જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જીએમડીસીના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(

(10:19 am IST)