ઉનામાં મુખ્યમંત્રી આવતા લોકોના નસીબ ખૂલ્યાઃ રોડના ખાડાં બુરીને ડીવાઇડરોને રંગરોગાનઃ ધુળની ડમરીનો પ્રશ્ન ઉકેલાયો
(નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ૧પ :.. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જિલ્લા ભાજપના સ્નેહમિલનમાં હાજરી આપવા આવ્યા હોય તેના આગમન પહેલા રોડમાં લાંબા સમયથી નહીં બુરાતા ખાડા તાત્કાલીક બુરાય ગયા છે ધુળની ડમરી રસ્તા ઉપરથી ઉડવાની બંધ થઇ ગઇ છે રોડના ડીવાઇડરોમાં રંગરોગાન કરવામાં આવેલ છે.
ધારાસભ્ય પુંજાભાઇ વંશે શહેર મધ્યે પરંપરા થતો બીસ્માર હાઇવે, પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ, વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય આપવા સુગર ફેકટરીના ખેડૂતો કર્મચારીઓને બાકી લેણાં ચુકવવા સહિત ૧૪ પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જેમાં રોડ ઉપર ખાડા અને ધૂળની ઉડતી ડમરીનો પ્રશ્ન ઉકેલાયો છે.
શહેરના રોડ રસ્તાઓ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓ પડી ગયા હોય અને શહેરની મધ્યમાંથી મોટા વાહનો પસાર થતા હોય જેના કારણે ધુળની ડમરી ઉડવાથી લોકોને શરદી ઉધરસ જેવી તકલીફ પડતી હતી.શહેરના રોડ પરથી ડામર ગાયબ હોય તેમજ મોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા હતા.
છેલ્લા દ્યણા સમયથી ઉનાં શહેરના પ્રજાજનો આ સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને દ્યણા લોકો રોડ પરના ખાડાઓ ને કારણે બાઈકો સ્લીપ થતાં અનેક અકસ્માતો સર્જાયા છે ત્યારે લોકો દ્વારા શહેરના રોડ રસ્તાઓ બાબતે અનેક આંદોલનો તેમજ રજૂઆતો કરાઇ હતી ત્યારે ગુજરાત રાજયના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતાની સાથે શહેરના રોડ પરનાં ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.