રાજય સરકાર વાહનો માટે કડક બની છે ત્યારે
ગારીયાધાર એસ.ટી. ડેપોની બસોની દુર્દશા બારીના કાચો તુટેલાઃ સીટો પણ ફાટેલી છે
ગારીયાધાર તા.૧પઃ ગારીયાધાર એસ.ટી. ડેપો ખાતે કેટલાક માસથી સમગ્ર એસ.ટી. તંત્રનું અધિકારી અને કર્મચારીના પાપે તંત્ર રેઢિયાર બન્યું છે. જેના કારણે એસ.ટી. બસમાં મુસાફરી કરતા વડીલો, વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા કર્મચારી ભારે હાડમારી વેઠતા જોવા મળે છે.
ગારીયાધાર એસ.ટી. ડેપો ખાતે લાંબા અને ટુંકા માર્ગની બસોમાં બારીના કાચ તુટેલા, ફાટેલી સીટો, તુટેલા બારણા અને ચાલુ વાહને જોરશોરથી બસોમાં આવતા આવા અવાજો મુસાફરો માટે કાયમી સમસ્યા બની છે.
ગારીયાધારથી રાજકોટ તેમજ ગારીયાધારથી ભાવનગર વાયા ભુરખીયા વાળી બંને બસોમાં મુસાફરો ખખડધજ સીટો અને બસોમાં આવતા અવાજોને ભારે હાલાકી વેઠી રહ્યા છે. જયારે ડેપો ખાતે સવારે ૮ વાગ્યે ઉપડતી ગારીયાધાર-ભાવનગર વાસા સણોસરા વાળી બસ આવક ધરાવતી હોવા છતા તેમજ અનેક ફરિયાદો ઉઠતી હોવા છતા ખખડધજ બસો આપવાના કારણે મુસાફરો એસ.ટી.ની મુસાફરીથી કંટાળી ગયા છે.
એસ.ટી. તંત્ર દ્વારા આ બાબતે જો કોઇ સુધારો લાવવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે તેવુ મુસાફરોમાં ગણગણાટ થયો છે.