ખેડૂતોને વ્યાજબી ભાવે ગુણવતા યુકત બીજ મળે તે માટે બીજ નિગમ કાર્યરત રહેશેઃ મેણાંત
ભુજમાં ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ડીલર બેઠક યોજાઇ
ભુજ,તા.૧૫:ગુજરાત રાજય બીજ નિગમ, ભુજ શાખા દ્વારા માધાપર ખાતે અધિકૃત ડીલર બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડીલરને સંશોધન વૈજ્ઞાનિક બી. આર. નાકરાણી દ્વારા કૃષિ યુનિવર્સિટીમાં થતું બીજ સંશોધન તથા હાલની પાકની જાતો અને તે અંગેના રોગ/જીવાતની માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત નાયબ ખેતી નિયામક ડી. એમ. મેણાંત દ્વારા સરકારની યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી માનધન યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના તથા પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના અંગે ખેડૂતો બહોળા પ્રમાણમાં લાભ લે તે માટે જાણકારી અપાઇ હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી વાય.આઈ. સિંહોરા તથા મદદનીશ ખેતી નિયામક ઉપેન્દ્ર જોષી દ્વારા ખેતીવાડી ખાતાની સરકારી યોજના જાણ મહિલા આપેલ બીજ નિગમની વડી કચેરીના માર્કેટિંગ મેનેજર હરેશ લાલવાણી દ્વારા બીજ વિતરણ કામગીરી સાથે ખેડુતોને વ્યાજબી ભાવે ગુણવતાયુક્ત બીજ મળી રહે તે માટે બીજ નિગમ ખેડુતના હિતમાં કાર્ય કરતું રહેશે, તેમ વધુમાં જણાવ્યું હતું.
બીજ નિગમ દ્વારા કરછ જિલ્લામાં સૌથી વધારે વેચાણ કરનારા ત્રણ ખાનગી ડીલર તથા સહકારી સંસ્થાની કામગીરીને બિરદાવી પુરસ્કાર અપાયો. આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પો.લી.ના શ્રી એન. ડી. મૈસુરીયા તથા ગુજરાત રાજય બીજ નિગમની ભુજ શાખાનાં ડી. વી. પ્રજાપતિ, યોગેશકુમાર સોરઠિયા તથા જે. બી નિમાવતે બેઠકની કામગીરી સંભાળેલ હતી.