જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં નર્મદાના નીર જસદણના આલણ સાગર ડેમમાં પહોંચી જશેઃ કુંવરજીભાઇ બાવળીયા
જસદણ-વિંછીયા ભાજપ દ્વારા નવા નીરના વધામણાઃ વિશાળ કાર-બાઇક રેલી યોજાઇ
આટકોટ તા. ૧પ :.. જસદણ-વિંછીયા ભાજપ દ્વારા જસદણની જીવાદોરી સમાન આલણ સાગર ડેમમાં નવા નિરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો.
ઘણા વર્ષો બાદ કુદરતીની મહેરબાનીથી છલકાયેલ આ ડેમમાં આવેલા નીરના વધામણા કરવા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની આગેવાની હેઠળ જસદણના આટકોટ રોડ ઉપર બાયપાસ સર્કલથી વિશાળ કાર અને બાઇક રેલી સાથે બધા આલણ સાગર ડેમ પહોંચ્યા હતાં.
જયાં કુંવરજીભાઇ સહિત ભાજપનાં આગેવાનો દ્વારા નિરની પૂજા કરી વધામણા કર્યા હતાં.
આ પ્રસંગે કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે આલણ સાગર ડેમમાં નર્મદાના નીર પહોંચાડવા માટે કામગીરી ચાલુ છે થોડુ મોડુ થયુ છે. પરંતુ આગામી જાન્યુઆરી - ફેબ્રુઆરી સુધીમાં નર્મદા નીર પણ આલણ સાગર ડેમમાં પહોંચી જશે.
આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો દ્વારા પણ પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
નીર વધામણાનાં કાર્યક્રમમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાનાં સભ્યો, વિંછીયા - જસદણ તાલુકાનાં ભાજપના આગેવાનો, કાર્યકરો, જુદા જુદા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
નીર વધામણાનાં કાર્યક્રમ બાદ શ્રી આવડ માતાજીના મંદિરે લાપસી ધરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જયાં ઉપસ્થિત સર્વેએ માતાજીની લાપસીનાં કાર્યક્રમમાં પ્રસાદનો લાભ લીધો હતો.