રાજુલા પંથકમાં અકસ્માતે ૧ર સિંહોના મોત થયા છતા ફરીયાદ કેમ નહિ ?
રાજુલા, તા. ૧પ : રાજુલા વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષમાં ૧રથી પણ વધારે સિંહના મોત થવા છતાં વન તંત્ર દ્વારા ઢીલી નીતિ શા માટે ? જેમાં મોટાભાગના સિંહો તો પીપાવાવ રેલ્વે ટ્રેક ઉપર થયેલ હોય આ રેલ્વેના ડ્રાયવર કે રેલ્વે વિભાગ પર કોઇપણ જાતની કાર્યવાહી શા માટે નહીં ? તેમજ રાજુલા વિસ્તારમાં પીપાવાવ ફોર ટ્રેક રોડ પર તેમજ ડુંગર નજીક રોડ પર સિંહના અકસ્માતમાં ખપાવવામાં આવેલ મોતમાં કોઇ જાતની તપાસ શા માટે નહીં ? આ સમયે સિંહના મોઢામાંથી ફીણ નિકળતા હતા, તેવું જાણવા મળેલ હતું. તો શા માટે કોઇ જાનની તપાસ કરવામાં ન આવી ? તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે અને ગૌરક્ષા હિતરક્ષ મંચ અને પર્યાવરણ બચાવ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રકરણોની તપાસની માંગ ઉઠાવેલ છે.
આ અંગે સ્થાનિક ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોના ખેતરમાં કોઇક કારણસર જો સિંહનું મૃત્યુ થાય તો વનતંત્ર ખેડૂતની પાછળ પડી જાય અને પાયમાલ કરી દયે જયારે રેલ્વે તંત્ર અને રોડ અકસ્માતમાં કોઇ પગલા શા માટે નહીં ? તેવો વેધક સવાલ ઉઠેલ છે.