સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

અયોધ્‍યા જતી કારને રાજસ્‍થાનમાં અકસ્‍માત વઢવાણના રામપરા ગામના પરિવારના બેના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૫ : વઢવાણ તાલુકાનાં રામપરા ગામેથી કારમાં અયોધ્‍યા જવા નીકળેલા પરીવારની કારને રાજસ્‍થાનનાં ચિતોડગઢ હાઈવે ઉપર અકસ્‍માત નડતા બે વ્‍યકિતના મોત નિપજેલ હોવાનું અને એક મહીલા ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળેલ છે.ᅠ
વઢવાણ તાલુકાનાં રામપરા ગામનાં પરસોતમભાઈ રામચંદ્રભાઈ ચાવડા પરીવાર સાથે કાર લઈને અયોધ્‍યા જવા નીકળ્‍યા હતા ત્‍યારે ચિતૌડગઢ પારસોલી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનાં રાજગઢ કોટ ચિતોડ હાઈવે ઉપર ટ્રેલર સાથે કાર જોરદાર રીતે અથડાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો.
જેમાં ગંભીર રીતે ઘાયલ પરસોતમભાઈ ચાવડાનું ઘટના સ્‍થળે અને ગીતાબેન મનુભાઈ નામની મહિલાનું હોસ્‍પીટલે સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. જયારે લલીતાબેન નામની મહિલાને ગંભીર ઈજા થતા ઉદયપૂરની હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે, ટ્રેલરની ટકકરથી કારનો ભુકકો બોલી ગયો હતો. કારને ક્રેનની મદદથી રોડ ઉપરથી સાઈડમાં કરવામાં આવી હતી. આ બનાવને પગલે રામપરા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામેલ છે.

 

(10:23 am IST)