સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th September 2019

ચોટીલાના મોરસલ ગામે ખનીજ માફિયા દ્વારા ફાયરીંગ

મોરસલની સીમમાં ગેરકાયદે રેતીનો ચીલો અટકાવતા યુવાન ઉપર બે રાઉન્ડ ને ઇજા પહોંચાડી હતી

ચોટીલાઃ ચોટીલા પંથકમાં ગેર કાયદે રેતી ખનનો મોટાપાયે બે રોકટોક કારોબાર ચાલે છે અને ખનીજ માફ્યિાઓ બે લગામ બની રહ્યા છે. મોરસલની સીમમાં ગેરકાયદે રેતીનો ચીલો અટકાવતા યુવાન ઉપર બે રાઉન્ડ ગોળીબાર કરી ઇજા પોહચાડયાનો બનાવ બનતા પોલીસે દોડધામ આદરી છે. આ બનાવની મળતી માહિતી મુજબ શનિવારનાં સવારે રાતડકી ગામનો ૨૪ વર્ષનો યુવાન દેવરાજ ગોકળભાઇ પરમાર મોરસલની સીમમાં આવેલ તેની વાડીએ હતો ત્યારે વાડીની નજીકમાં ભોગાવો નદીના પટમાં સરકારી ખરાબામાં ગેરકાયદે રેતી ખનન માટે ચીલો શરૂ કરવા હબીયાસરના પેથાભાઇ રામભાઈ શિયાળીયા, હિરાસરના દિનેશ નાથાભાઈ પરમાર, રામ દેવશીભાઇ પરમાર આવતા તેઓને અહીયા રેતી ખનનની ના પાડી છતા કેમ આવ્યા તેમ કહી અટકાવતા પેથાભાઇ અને દિનેશભાઈએ તેઓની પાસે રહેલ તમંચા જેવા હથીયારમાંથી બે ગોળીબાર કરી નાસી છુટયા હતા.

ફયરીંગમાં દેવરાજને ઈજા પહોંચતા પ્રથમ ચોટીલા રેફ્રલ હોસ્પિટલ લોહી નિકળતી હાલતમાં લાવવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. પીએસઆઇ એચ. એલ. ઠાકર, ઇશ્ચરભાઇ રંગપરા ઇજાગ્રસ્તનું નિવેદન લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરવા રાજકોટ હોસ્પિટલ દોડી ગયેલ હતા. ચોટીલા પંથકમાં ખનીજ માફ્યિાઓ દ્વારા ગોઠવવામાં આવેલ નેટવર્ક થકી મોટા પ્રમાણમાં ગેરકાયદેરેતી ખનન અને વહન થાય છે અને હપ્તા સિસ્ટમને કારણે અનેક વિભાગ આંખ આડા કાન કરતા હોવાનું ચર્ચાય છે ત્યારે બે લગામ બનતા ખનનખોરો સામે પોલીસે કડક હાથે કામ લેવુ જોઈએ અને વિસ્તારમાં આવા લોકોથી ફેલાતા ભયના વાતાવરણને રોકવુ જોઈએ તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

(11:52 am IST)