જસદણ-વિંછીયા તાલુકામાં ૬૮ કરોડનાં ખર્ચે પીવાના પાણીના કામોને મંજુરી
પાણી પુરવઠા મંત્રીના તાલુકાના અનેક ગામોની માંગણીઓને મંજુરી મળી જતા યોજનાનાં લાભાર્થી ગામોમાં ખુશી છવાઈ ગઈ
આટકોટ, તા. ૧૫ :. જસદણ પૂર્વ ધારાસભ્ય અને હાલના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી જસદણ-વિંછીયા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની કાયમી મુશ્કેલી હતી જે દૂર કરવા અંદાજે ૬૮ કરોડના પીવાના પાણીના કામો મંજુર કરતા આ ગામોમાં ખુશી છવાઈ ગઈ છે.
જસદણ-વિંછીયા તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીની કાયમી સમસ્યાઓ હતી. આ અંગે અગાઉ અવાર-નવાર રાજ્ય સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવતી હતી. આમ છતા આ ગામોમાં પીવાના પાણીની કાયમી સમસ્યા હલ થતી નહોતી.
રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેમણે આ અંગે રજૂઆતો કરી હોય તેઓ આ ગામોની મુશ્કેલીઓથી વાકેફ હોય તેમણે આ મુશ્કેલી દૂર કરવા અંદાજે ૬૮ કરોડના કામોને લીલી ઝંડી આપી દેતા આ ગામોમાં ખુશી છવાઈ ગઈ છે.તાજેતરમાં જ મંજુર થયેલા આ કામોના અમુક કામો તો ટૂંક સમયમાં શરૂ પણ થઈ જશે જ્યારે અમુક કામોના ટેન્ડરો ટૂંક સમયમાં બહાર પડશે.
આ યોજનાથી જસદણ-વિંછીયાના લગભગ મોટાભાગના ગામોને લાભ મળશે.
આ ઉપરાંત જસદણ-વિંછીયા તાલુકાના બીજા ૩૩ જેટલા ગામોમાં પીવાના પાણીનાં ટાંકા, મુખ્ય લાઈનમાંથી પાણીની લાઈનો - સંપ વગેરે પણ કામો કરોડોના ખર્ચે મંજુર કરવામાં આવ્યા છે.(૨-૮)