ગોંડલમાં ૪.૬ર લાખની ઘરફોડીમાં તસ્કરોનું પગેરૂ દબાવવા વિવિધ દિશામાં તપાસ
બાવાજી પરિવાર ઘરથી સો મીટર દૂર ગણેશજીના પંડાલમાં દર્શનાર્થે ગયો'ને તસ્કરો ઘર સાફ કરી ગયા
ગોંડલ, તા. ૧પ : ગોંડલમાં જેતપુર રોડ પર આવેલ વૃંદાવનનગરમાં બાવાજી પરિવારના ઘરમાંથી થયેલ ૪.૬ર લાખની રોકડ રકમની ચોરીના બનાવમાં પોલીસે તસ્કરોનું પગેરૂ દબાવવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વૃંદાવનનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં જોડાયેલ ગૌતમગીરી મુગટગીરી ગોસ્વામી ઉ.વ.૩૦ પરિવાર સાથે સોસાયટીની સામે આવેલ ગણપતિના પંડાલમાં દર્શને પહોંચ્યા હતાં અને ત્યાં જ બાજુમાં રહેતા બહેનના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટની તિજોરીમાં રોકડા રૂ. ૪.૬ર લાખની ચોરી કરી લઇ જતા સીટી પોલીસમાં ફરીયાદ કરી હતી.
દરમિયાન ચોરીના આ બનાવમાં પોલીસે ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો અને એફ.એસ.એલ.ની મદદ લઇ તસ્કરોનું પગેરૂ દબાવવા તપાસ હાથ ધરી છે. ડોગ સ્કવોડની મદદ પણ લેવાઇ છે. વધુ તપાસ સીટી પી.આઇ. રામાનુજ ચલાવી રહ્યા છે. (૮.૭)