સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

તંત્રની બેદરકારી છતીઃ થાન હોસ્પિટલમાં સારવારનાં અભાવે યુવાનનાં મોતથી રોષ

સરકારી દવાખાનામાં ડોકટર રજા ઉપર હતા અને અન્ય કોઇ નહી હોવાથી સારવાર મળી નથીઃ પોલીસ ફરીયાદ નોંધી તપાસ શરૂ

 વઢવાણ, તા.૧૪: થાન સરકારી હોસ્પિટલમાં ગુરૂવારે સવારે ૭.૩૦ વાગ્યાના સમયે ભાવેશ રમેશભાઇ ગળધરીયાને સારવાર માટે લાવવામાં આવ્યાહતા. થાન હોસ્પિટલના ડોકટર રજા પર હતા જયારે અન્ય કોઇ ડોકટર હાજર ન હોવાના કારણે સમયસર સારવાર ન મળવાના કારણે યુવાનનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અંતે થાન પોલીસ દ્વારા યોગ્ય તપાસની ખાત્રી સાથે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરતા યુવકના પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. થાન જય અંબે સોસાયટીમાં રહેતા ભાવેશ રમેશભાઇ ગળધરીયા છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા જયારે ગુરૂવારે સવારે અચાનક ઉલ્ટીઓ થવા લાગતા તેમનો પરિવાર સારવાર માટે થાન સરકારી હોસ્પિટલે લઇ આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર દિદારઅલી કચ્છી રજા પર હતા જયારે અન્ય કોઇ ડોકટર ફરજ પર હાજર નહોતા આથી હોસ્પિટલમાં હાજર અન્ય સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી પરંતુ તે દરમિયાન જ ભાવેશ ગળધરીયાનું મોત થયું હતું.આ અંગે મૃતકના પિતા રમેશભાઇ,મહેશભાઇ, દિનેશભાઇ દાનાભાઇ સહિતના પરિવારજનોએ હોસ્પિટલમાં સમયસર સારવારન મળવાથી મોત થયાનો આક્ષેપ કરવાની સાથેમૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો.તેમજ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીના કારણે મોત થયું હોવાથી પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. આ અંગેની જાણ થતાં મૃતકના સગાસબંધીઓના ટોળાઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમજ મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમ તેમજ પોલીસ કાફલો પણ હોસ્પિટલે ધસી આવ્યો હતો. થાન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઢોલે મૃતકના પરિવારજનોને યોગ્યકાર્યવાહી કરવાની ખાત્ર આપતા અંતે મામલો થાળે પડતા પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. આ અંગે થાન પીએસઆઇ એ.વી.પાટડીયાએ જણાવ્યું કે મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ડોકટર હાજર ન હોવાથી સમયસર સારવાર ન મળવાના કારણે યુવાનનું મોત થયું હોવાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(૨૩.૮)

(4:00 pm IST)