કુંકાવાવમાં જાહેર માર્ગો ઉપર ગટરના પાણી ફરી વળતા લોકો ત્રાહીમામ
ભૂગર્ભ ગટર યોજનાના મેન્ટેનન્સના અભાવે ગામના વિસ્તારો તેમજ ઘનશ્યામનગરમાં રસ્તાઓ પર ગટરના પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. પૂર્વ સરપંચ સ્વ. દલસુખભાઇએ વખતોવખત રજુઆતો કરી હતી. વર્તમાન સમયમાં સરપંચ સુભાષભાઇ ભગત વહેપારી મંડળના પ્રમુખ મનસુખભાઇ ગોંડલીયાએ પણ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરેલ, પરંતુ ગોકળગાયની ગતિયે ચાલતું હોય તેમ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી.
ભૂગર્ભ ગટરને સાફ કરવા મશીનરી નથી જેના કારણે અન્ય જગ્યાએથી મશીનરી મંગાવવી પડે છે. ત્રીસ વર્ષ પહેલા જયારે પાકી ગટર વ્યવસ્થા ન હતી ત્યારે જેમ બજારમાં સરેડી બનાવી પાણીનો નિકાલ લોકો કરતા તેવી જ સ્થિતિ હાલ જોવા મળી રહી છે. કુંડી ઉભરાય રહી છે જનતા જુવે છે. સાફ કેમ કરવી તેનો વિકલ્પ મળતો નથી તો હાથે પાવડાથી ભૂગર્ભ ગટર સાફ થઇ શકે નહીં.
ર૦૧પના પુર પ્રલય તેમજ ભૂગર્ભ ગટરની માટી રોડ પર જ જામી જતા ઘર કરતા રોડ રસ્તાનું લેવલ ઉંચુ આવ્યું તેનું લેવલીંગ કરાવી રસ્તા નીચે ઉતારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આવા સમયમાં વરસાદી પાણી પણ ઘર આંગણામાં ઘુસી જાય છે, જેથી વધુ કપરી પરિસ્થિતિનો સામનો નગરજનોને કરવો પડી રહ્રયહ્યો છે. તંત્ર દ્વારા લેવલીંગ કરી ભુગર્ભ ગટર યોજનામાં તોડી નાખેલા રોડ ફરી બનાવવામાં ચોક થઇ ગયેલ ભૂગર્ભ ગટર શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ છે.