છાંયામાં ભાજપ શાસિત નગરપાલિકા સફાઇ રોડ અને ભૂગર્ભ ગટર સહિત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળઃ કાલે કોંગ્રેસ દ્વારા ધરણા
સફાઇ નામે મીંડુ : ઠેર ઠેર ગંદકી : નળ જોડાણ આપવા ઉઘાડી લૂંટ : મંજુર થયેલ રોડના કામ થતા નથી
પોરબંદર, તા. ૧૪ : છાંયામાં ભાજપ શાસિત નગરપાલિકા સફાઇ રોડ અને ભૂગર્ભ ગટર સહિત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયેલ છે. પાલિકાના શાસકોને જાગૃત કરવા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી સામે આવતીકાલે શનિવારે સવારે ૧૦થી પ ધરણા કરવામાં આવશે.
શહેરમાં પાંચેક દિવસથી પીવાના પાણી પ્રશ્ને લોકો પરેશાન થઇ રહેલ છે. પાણી માટે લોકોને દૂર સુધી ભટકવું પડે છે. પીવાના પાણીના નળ જોડાણ માટે કોન્ટ્રાકટર દ્વારા વધુ ચાર્જ વસુલી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.
ભૂગર્ભ ગટરના નબળા કામને લીધે ગટરનું પાણી પીવાની પાણીની પાઇપ લાઇનમાં ભળી જતું હોય રોગચાળો માથુઉંચકી રહેલ છે.
શહેરમાં મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોય રાત્રે અંધારા રહે છે. શહેરમાં ઢોરનો ત્રાસ વધ્યો છે વારંવાર આખલા યુદ્ધ ખેલાય છે.
પંચાયત ચોકીથી મારૂતીનગર અને ફુવારાથી એમ ર નવા રોડ મંજુર છતાં કામ શરૂ કરવામાં આવતા નથી. શહેરના રસ્તાની દુર્દશા થઇ રહી છે તેમ અનેક ફરીયાદો હોવાનું કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા અને કોંગ્રેસ શહેર પ્રમુખ રણજીતભાઇ કુછડીયાએ જણાવેલ છે. (૮.૭)