News of Wednesday, 15th July 2020
પરાપીપળીયામાં માતાએ ઠપકો આપતાં મીરાબેન આહિરનો ઝેરી ટીકડી પી આપઘાત
રાજકોટ તા. ૧૫: જામનગર રોડ પર આવેલા પરાપીપળીયામાં રહેતી મીરાબેન નારણભાઇ રાઠોડ (ઉ.૨૨) નામની આહિર યુવતિએ ઘઉંમા રાખવાની ટીકડી પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
બનાવની જાણ ક્રાઇસ્ટ હોસ્પિટલમાંથી થતાં ગાંધીગ્રામના એએસઆઇ જયસુખભાઇ હુંબલ તથા સંદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મીરાબેન બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં મીરાબેનને માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યુવાન દિકરીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(11:27 am IST)