કચ્છ, મોરબી પંથકમાં NDRFની ટુકડીઓ ઉતારાઇ : કાલે વરસાદ-વાવાઝોડાની સંભાવના
પરિસ્થિતિ નિયંત્રણમાં છે, લોકો ભય ન રાખે : પંકજકુમાર
રાજકોટ, તા. ૧પ : મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે અને તા. ૧૭ કે ૧૮ જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયકલોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઇ રહી છે. કચ્છ, મોરબી, દ્વારકા પંથકમાં પૂર્વ સાવચેતી માટે અનેડીઆરએફની ટુકડીઓ પહોંચી ગઇ છે. વરસાદ પણ થઇ શકે છે.
હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલા લેવાઇ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઇ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતા જણાવ્યું છે કે, રાજય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ રાજય સરકારના નિયંત્રણમાં છે.