સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

તૌકતે વાવાઝોડા સામે કચ્છના ૧૮ નાના મોટા બંદરોની તમામ ૧૯૪ બોટો કિનારે- ત્રણ લાયઝન ઓફિસરોને સોંપાઈ ખાસ જવાબદારી

ભુજ :ભારતીય હવામાન વિભાગની સુચના અને ચેતવણી પ્રમાણે રાજ્યના સંભવિત તૌકતે વાવાઝોડાના ખતરામાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે કચ્છ જિલ્લાના ૧૮ મત્સ્યઉતરણ કેન્દ્ર પરથી માછીમારો અને ખલાસીઓને મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

     તારીખ ૧૭/૦૫/૨૧ દરમિયાન અરબી સમુદ્રમાં  લો પ્રેશરના કારણે વધુ પવન અને ઉંચા મોજા ઉછળવાની શક્યતાના પગલે મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર નિયામકશ્રીની કચેરી કચ્છ દ્વારા બોટ માલિકોને દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવી આસપાસના નજીકના બંદરે લંગર કરવાની સૂચના અપાઈ હતી. જે પૈકી હાલે દરિયામાંની તમામ ૧૯૪ બોટ બંદરે લાંગરવામાં આવી છે. તમામ માછીમારોએ પોતાની હોડી, પીરાણા અને બોટ  તેમજ કાંઠા વિસ્તારના જાનમાલને સૂચના અનુસાર જિલ્લાના ૧૮ ઉત્તરાણ કેન્દ્ર પર સલામત સ્થળે ખસેડવા અપાયેલી સુચના અનુસાર લાંગરવામાં આવી છે.    
     જિલ્લામાં આવેલા મોટા મત્સ્ય બંદર જખૌ ઉપરાંત નાના અન્ય મત્સ્ય બંદરો નાના લાયજા, માંડવી, મોઢવા , ત્રગડી,  ઝરપરા, નવીનાળ, મુન્દ્રા, લુણી, ભદ્રેશ્વર , કુતડીનાળ, નારાયણસરોવર,  લખપત , કંડલા , સંઘડ, તુણાવંડી અને સુરજબારી મત્સ્ય ઉતરાણ કેન્દ્ર પરના કાંઠા વિસ્તારો પર ગેરકાયદેસર માછીમારીના કરવા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકશ્રી જે .એલ.ગોહિલ દ્વારા જાણ કરવામાં આવેલ છે.તેમજ અન્ય જિલ્લામાં દરિયો ખેડનાર સામે મત્સ્યોદ્યોગ કાયદા 2003 મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવાની સૂચના પણ અપાય છે. આ વાવાઝોડા સંદર્ભે ત્રણ લાયઝન ઓફિસર પણ નીમાયા છે.

(8:17 pm IST)