સુરેન્દ્રનગર જિ.માં લંડનથી આવેલ ૭ વિદ્યાર્થીને વઢવાણ મંદિર -હોટલમાં કવોરન્ટાઇન કરાયા
સુરેન્દ્રનગર, તા.૧૫: ગુજરાતમાંથી અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની ભારત સરકારની પ્રતિબધ્ધતાના ભાગે વિમાન દ્વારા અમદાવાદ પહોંચેલા વિદ્યાર્થીઓ લોકોને તેમની પસંદગીના જિલ્લામાં પહોંચાડવામાં આવ્યા હતા. જે અન્વયે સુરેન્દ્રનગર ખાતે અન્ય જિલ્લાના બીજા ૭ વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે આવેલા ગુજરાતના વિવિધ જિલ્લાઓના આ વિદ્યાર્થીઓનું એરપોર્ટ પર જ હેલ્થ ચેક-અપ કરી તેમને સુરેન્દ્રનગર ખાતે લાવેલા ૭ વિદ્યાર્થીઓ પૈકી પ વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબ પેઇડ વ્યવસ્થા સ્વીકારતાં તેમને વઢવાણ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે તેમજ ૨ વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબ પેઇડ વ્યવસ્થા સ્વીકારતા તેમને પ્રેસિડન્ટ હોટલ ખાતે ૧૪ દિવસ માટે કવોરન્ટાઇનમાં રખાયા.
સુરેન્દ્રનગર ખાતે આવેલા આ ૭ વિદ્યાર્થીઓ પૈકી વડોદરાના સંકેત છનારીયા, અંકિત પઢીયાર અને કૃતાર્થ પટેલ, આણંદના વિકાસ ચૌહાણ તેમજ હળવદના કમલ છનારીયાને વઢવાણ સ્વામીનારાયણ મંદિર ખાતે જયારે રાજકોટના જયવ્રતસિંહ જાડેજા અને ધનેશ લખવાનીને પ્રેસિડન્ટ હોટલમાં રાખેલ છે.