સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

અમરેલીનાં ફતેપુરમાં ભવ્ય ધર્મોત્સવઃ સંત ભોજલરામ બાપા પ્રાગટય મહોત્સવની શનિવારે થશે ઉજવણી

રકતદાન કેમ્પ, ધ્વજારોહણ, નેત્ર નિદાન કેમ્પ, ભોજન પ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમોઃ મહંત ભકિતરામ બાપુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

અમરેલી, તા. ૧૫ :. 'ભોજલધામ' અમરેલી જીલ્લાના ફતેપુર ગામે પ્રાતઃસ્મરણીય પૂજ્ય ભોજલરામ બાપાનો ૨૩૪મો પ્રાગટય મહોત્સવ વૈશાખી પૂર્ણિમાના પાવન દિને તા. ૧૮-૫-૨૦૧૯ને શનિવારના રોજ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવશે.

ધરમના ધામ તણા આ 'ભોજલધામ'માં દર વર્ષે પૂજ્ય ભોજલરામ બાપાનો પ્રાગટય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ છે દેશ-વિદેશના લાખો ધર્મપ્રેમી શ્રધ્ધાળુઓને પ્રેમ, ભકિત અને શ્રધ્ધાનો પ્રસાદ ચખાડે છે. આ મહોત્સવમાં મુંબઈ, વાપી, સુરત, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગર તથા અમરેલી જીલ્લાના ઉદ્યોગપતિઓ તથા આગેવાનો અને સંતો-મહંતો ખાસ હાજરી આપશે.

પૂજ્ય ભોજલરામ બાપાનો ૨૩૪મો પ્રાગટય મહોત્સવના કાર્યક્રમમાં દર વર્ષની જેમ પ્રભાતે ૬.૦૦ કલાકે પૂ. બાપાના સ્મૃતિ ચિન્હોનું પૂજન, સવારના ૮.૩૦ કલાકે રકતદાન કેમ્પનું ઉદઘાટન, સવારે ૯.૦૦ કલાકે ફુલ સમાધિ પર ધ્વજારોહણ, સવારે ૯.૩૦ કલાકે નેત્ર નિદાન કેમ્પનું ઉદઘાટન, બપોરના ૧૨.૦૦ કલાકે ભોજન પ્રસાદ, સાંજના ૫.૦૦ કલાકે ધર્મસભા જેમાં પૂ. શ્રી એસ.પી. સ્વામી-સ્વામીનારાયણ મંદિર - ગઢડા, પૂ. શ્રી દુર્ગાદાસબાપુ - લાલજી મહારાજની જગ્યા-સાયલા, પૂ. મહંતશ્રી વ્રજલાલબાપુ-વાલમરામબાપાની જગ્યા-ગારીયાધાર, પૂ. શ્રી બાબુરામબાપુ-ધના ભકતની જગ્યા -ધોળા, પૂ. શ્રી રાધાકૃષ્ણશાસ્ત્રી-કથાકાર-રામપર, પૂ. શ્રી જેરામબાપુ-આપાગીગાની જગ્યા-બગસરા, પૂ. શ્રી સ્વામી વિશ્વવિહારી-ગુરૂ-વિરપુર, પૂ.શ્રી લવજીબાપુ-ખોડીયાર મંદિર-નેસડી, પૂ.શ્રી ભાર્ગવ દાદા-કથાકાર-ભોરીંગડા, વિગેરે સંતો મહંતો હાજરી આપશે તથા દિવ્ય વાણીનો લાભ આપશે ત્યાર બાદ સાંજના ૮-૩૦ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રીના ૯ કલાકે ભજન સંતવાણી જેમાં પ્રસિદ્ધ કલાકારો-યોગીતાબેન પટેલ, મનસુખભાઇ વસોયા, ફરીદાબેન મીર, અંકીત ખેની સંતવાણીનો લાભ આપશે.

સવારના ૧૦થી બપોરના ૧ર તથા બપોરના ર થી સાંજના પ કલાક સુધી કથાકાર શ્રી ભાર્ગવ દાદા-ભોરીંગડાવાળાના દિવ્ય સ્વરમાં 'ભોજલ જ્ઞાન કથા' જેમાં સંતશ્રી પૂ. ભોજલરામબાપાના જીવન ચરિત્રના પાવન પ્રસંગ તથા જલારામબાપાના તથા વાલમરામના જીવનમાં ગુરૂ મહીમાંના પ્રસંગોને પણ વણી લેવામાંં આવેલ છે.

 પૂજય ભોજલરામ બાપાના પ્રાગટય મહોત્સવના પાવન અવસરે અનોખો સેવાયજ્ઞ 'રકતદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવેલ છે. (જેમાં દરેક રકતદાતા ભાઇઓ તથા બહેનોને આકર્ષક ભેટ પ્રસાદીરૂપે આપવામાં આવશે.)

સવારના ૯ કલાકે નેત્રદાન મહાદાન માત્ર એક વ્યકિતના નેત્રદાનથી બે અંધ વ્યકિતને આંખ આપી શકાય છે. દર વર્ષની જેમ નેત્રદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે તો ચાલો આ પાવન અવસરે આપણે પણ નેત્રદાન માટે આપણુ નામ નોંધાવીએ. તેમજ કોમ્પ્યુટરથી નેત્ર તપાસ મફત કરી આપવામાં આવશે.

૧,૦૦,૦૦૦ ઘનફુટ ગુલાબી પથ્થર અને શ્વેત આરસના સંયોજનથી પૂ. ભોજલરામબાપાના ભવ્ય તથા દિવ્ય મંદિરનો શુભારંભ થઇ ગયેલ છે. સાંજના પ-૩૦ કલાકે આ વર્ષના મંદિર નિર્માણના મુખ્ય દાતાની ભવ્ય રકત તુલ્લા થશે.

દર વર્ષની માફક ગામે ગામ બનેલ શ્રી ભોજલરામ યુવા સેવા સંગઠનના ૩૦૦૦ ભાઇ બહેનો ભોજન-પ્રસાદ તથા ચા-પાણીની કામગીરી સંભાળશે.

આ શુભ પ્રસંગે દર વર્ષની માફક શ્રેષ્ઠ ધર્મોપદેશકોના પ્રવચનો તથા રાત્રીના ભજન-સંતવાણી તથા લોકસાહિત્ય રજૂ થશે. આ ધર્મોત્સવમાં સહપરિવાર મિત્રમંડળ સહિત ધર્મલાભ લેવાનું જાહેર નિમંત્રણ (ભોજલધામ) મહંત ભકિતરામબાપુએ આપ્યું છે.

ભવ્ય લોકડાયરો સહિતના કાર્યક્રમોની તડામાર તૈયારી

 ભોજલધામ-ફત્તેપુરના ગાદીપતી મહંત પ.પૂ. ભકિતરામબાપુના સીધા માર્ગદર્શન હેઠળ યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાગટય મહોત્સવમાં મુંબઇ, સુરત, અમદાવાદ, વડોદરા, યુ.કે. થી તથા સમગ્ર ગુજરાતમાંથી પૂ. ભોજલરામબાપાને શીશ નમાવવા ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ગુજરાતના તમામ દાહેણી જગ્યાના સંતો-મહંતોની ઉપસ્થિતીમાં દિવ્ય ધર્મસભા, શોભાયાત્રા, ધ્વજારોહણ, પાદુકા પૂજન, ભોજન-પ્રસાદ, મહેમાનો તથા દાત્તાશ્રીઓનું સન્માન, રાત્રીના ૮.૩૦ કલાકે ભવ્ય સંતવાણી તથા લોકડાયરો, જેમાં ગુજરાતની સ્વર સામાજ્ઞી, સુપ્રસિધ્ધ કલાકાર ફરીદામીર, સુરતનો બાળ કલાકાર અંકિત ખેતી તથા સુપ્રસિધ્ધ લોક સાહિત્ય મનસુખભાઇ વસોયા જન-મેદનીને ડોલાવશે. પ.પૂ.ભકિતરામ બાપુના સાનિધ્ય તથા માર્ગદર્શનમાં યોજાનારા ૨૩૪મા઼ પ્રાગટય મહોત્સવને સફળ બનાવવા આસપાસના તમામ ગામોના મંડળો આશરે ૧૦૦૦ (એક હજાર) સ્વયંસેવકો ખડે પગે રહીને સેવા આપશે. પ.પૂ. ભોજલરામબાપાના ૨૩૪માં પ્રાગટય મહોત્સવના દિવસેભવ્ય મેગા રકત્તદાન કેમ્પનું આયોજન થયેલ છે. જેમાંથી રૂા ૧૧,૦૦,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા અગ્યાર કરોડ પુરા) ના ખર્ચ નિર્માણ થનાર મંદિરના મુખ્ય દાતાશ્રીનું ''રકત્તતુલા'' કરી સન્માનીત કરવામાં આવશે.

(1:17 pm IST)