ઝાલાવાડના ખેડૂતો પરેશાનઃ બેંક ધિરાણ કાર્ય ચાલુ થયું તો એગ્રી એલઓસી સિસ્ટમમાં પ્રોબ્લેમ ઉભો થયો
વઢવાણ, તા. ૧૫ :. ઝાલાવાડમાં હાલ જગતના તાત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. પાકવિમા પોષણક્ષમ ભાવ સૌની યોજના થકી સિંચાઈ માટે પાણી નથી મળતુ તેમજ ખાતરના વજનમાં ગોલમાલ સહીત અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. સમસ્યાઓ ખેડૂતોનો પીછો છોડતી ન હોય તેમ હાલ બેંકમાં પાક ધિરાણ મેળવવા તેમજ પાક ધિરાણ ભરપાઈ કરવા બેંકમા જતા એગ્રી એલઓસી સિસ્ટમમાં પ્રોબ્લેમ સર્જાતા ખેડૂતોને ધરમધક્કા કરવા પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી બેંક ઓડીટના કારણે પાક ધિરાણનું કામકાજ ઠપ્પ હતું. ત્યાર બાદ ખેડૂતો માટે હવે બેંકોમાં એગ્રી એલઓસી સિસ્ટમમા પ્રોબ્લેમ શરૂ થયો છે. આથી ઝાલાવાડમાં રહેતા પાક ધિરાણ સમયે ખેડૂતોને પાકધિરાણ મેળવવા ધરમધક્કા ખાવા પડે છે. આ અંગે મહેન્દ્રસિંહ સોલંકી, પટેલ અક્ષયભાઈ વગેરેએ જણાવ્યુ કે ગત વર્ષે અતિવૃષ્ટિ અને આ વર્ષે દુષ્કાળના કારણે મોટાભાગના ખેડૂતો આર્થિક રીતે ભાંગી ગયા છે. આવા સંજોગોમાં પણ બેંક દ્વારા મેળવેલ પાકધિરાણ ભરપાઈ કરવા ઉછીના પાછીના કરીને તગડા વ્યાજે લાવીને કે વચેટિયાઓ પાસેથી નાણા લઈ બેંક ધિરાણ નવુ જુનુ કરતા હોય છે ત્યારે પંદર દિવસથી બેંક ઓડીટ હોવાથી બેંક ધિરાણ કાર્ય ઠપ્પ હતુ તા. ૧૪-૫-૧૯ના રોજ કામકાજ ચાલુ થતા એગ્રી એલઓસી સિસ્ટમમાં પ્રોબ્લેમ ઉભા થતા પાકધિરાણની કાર્યવાહી થતી ન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ભાડા ભરીને આવતા ખેડૂતોને ધરમધક્કો થતા સમય અને નાણાનો ખોટો ખર્ચ થતા વધુ આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.