મોરબીમાં કોરોના દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ - ઉપપ્રમુખની રજૂઆત
રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : કોરોના મહામારીને પગલે સ્થિતિ બેકાબુ બની ગઈ છે ત્યારે મોરબીમાં કોરોના દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે રજૂઆત કરી છે.
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાએ રાજયના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં કોરોના દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ, ઓકસીજન અને રેમડીસીવર ઇન્જેકશનની અછત ઉભી થઇ છે જેથી દર્દીઓની હાલત કફોડી બની છે જેથી બેડ, ઓકસીજન અને રેમડીસીવર ઇન્જેકશનની વ્યવસ્થા કરી આપવા મોરબીની પ્રજા તરફથી મૌખીક અને ટેલીફોનીક અનેક રજૂઆત કરવામાં આવી છે જેથી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.
હાલમાં જે સ્થળે રેમડીસીવર ઇન્જેકશન ઉપલબ્ધ છે ત્યાં આરટીપીસીઆર પોઝીટીવ રીપોર્ટ આધાર ના હોય તો ઇન્જેકશન આપવામાં આવતા નથી અને દર્દીઓના સગા પરેશાન થાય છે જેથી આરટીપીસીઆર રીપોર્ટ ના હોય અને સીટી સ્કેન અથવા ડોકટરનું લખાણ હોય તેને માન્ય રાખી રેમડીસીવર ઇન્જેકશન આપવામાં આવે તેવી માંગ કરી છે.