કચ્છના રાપર તાલુકાના નીલપર ગામની અેક ક્ષત્રિય પરિવારની યુવતિઅે કોળી સમાજના ૭ શખ્સોના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ મોત નીપજતા વાતાવરણ તંગ
રાપરઃ રાજકોટ: રાપર પાસે આવેલા નીલપર ગામની 20 વર્ષીય યુવતીનું મોત થતાં ભૂજમાં વાતાવરણ તંગ છે. 6 એપ્રિલે યુવતીએ આત્મવિલોપન કર્યું હતું, જે બાદ તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ જ્યાં શુક્રવારે તેનું મોત થયું. મરતા પહેલા રેખાબા જાડેજાએ નોંધાવેલા નિવેદન પ્રમાણે, આટલું મોટું પગલું ભરવાનું કારણ કોળી સમાજના 7 શખ્સો દ્વારા અપાતો ત્રાસ હતો. ભયને કારણે તે ઘરની બહાર પણ નહોતી નીકળી શકતી કારણકે કોળી સમાજના 7 શખ્સોમાંથી 1-1 આવીને તેને ધમકાવતા અને ત્રાસ આપતા હતા.
યુવતીના મોતના સમચાર મળતાં જ સ્થાનિક કરણી સેનાના સભ્યો હૉસ્પિટલ પહોંચ્યા હતા. કરણી સેના અને યુવતીના પરિવારે જ્યાં સુધી તે 7 શખ્સોને પકડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. સાથે રાપર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કે જેમણે યુવતીની પજવણી અંગેની ફરિયાદ નોંધવાની ના પાડી હતી તેને પણ સસ્પેંડ કરવાની માગ કરી છે.
કોળી અને જાડેજા પરિવાર વચ્ચે ઝઘડો 8 મહિના પહેલા શરૂ થયો હતો. જ્યારે કોળી યુવકનો હત્યા કરેલો મૃતદેહ નીલપર ગામ પાસેથી મળ્યો હતો. કોળી પરિવારને શંકા હતી કે યુવકની હત્યામાં જાડેજા પરિવારની સંડોવણી છે, જેથી તેઓએ પોલીસ ફરિયાદ કરી. પરંતુ રાપર પોલીસને જાડેજા પરિવારની સંડોવણીના કોઈ પુરાવા ન મળ્યા માટે તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરી.
તેમ છતાં કોળી સમાજના 7 શખ્સો જેમાંથી 4 સગા ભાઈ છે, તેમણે કથિત રીતે યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યું. જ્યારે યુવતી ઘરે એકલી હોય ત્યારે તેઓ તેના ઘરમાં હથિયારો સાથે ઘૂસી જતા અને તેનું અપહરણ કરવાની ધમકી આપતા હતા. ઘટના બાદ યુવતીનો પરિવાર રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યો પરંતુ કોન્સ્ટેબલે ગુનો ન નોંધ્યો. રેખાબા જાડેજાએ મરતાં પહેલા રમેશ કોળી અને તેના 3 ભાઈ- કાનજી, જિજ્ઞેશ અને હરેશ, ટેભા કોળી અને તેના ભાઈઓ સુરેશ, ઈશ્વર કોળીના નામ આપ્યા હતા. આ તમામ સાથે આત્મહત્યાની ઉશ્કેરણીનો ગુનો દાખલ કરાયો છે.