પોરબંદરના દરિયામાં ઝબકેલી શંકાસ્પદ બોટો માંગરોળ અને કચ્છની ફિશીંગ બોટ
કશું વાંધાજનક મળ્યું નહીં : તેલ સંશોધનના કામ ભાડે કરાયેલી બોટ હોવાની ચર્ચા : શંકાસ્પદ બોટ દેખાતા મરીન સીકયુરીટી હરકતમાં આવી ગયેલ
પોરબંદર, તા. ૧પઃ ગઇકાલે પોરબંદરના દરિયામાં ર શંકાસ્પદ બોટ દેખાતા મરીન સીકયુરીટી હરકતમાં આવી ગયેલ અને પીછો કરીને બન્ને બોટ ઝડપી તપાસ કરતા માંગરોળની ''અક્ષયદીપ'' નામની અને દામોદરભાઇ ધનજીભાઇ ચામુડિયાની માલિકીની ફિશીંગ બોટ (જીજેના ૧૧ એમવી પ૧૬) તેમજ બીજી બોટ કચ્છના માંડવી મોટા સલાયાની અલ આરીજ (એમ.એન.વી. ર૧૭૩) હોવાનું ખૂલ્યું હતું. બન્ને ફિશીંગ બોટોમાંથી કશું વાંધાજનક મળી આવેલ નથી.
આ બન્ને બોટ દરિયામાં તેલ સંશોધનના કામ માટે ભાડે કરાયેલી હોવાની ચર્ચા થઇ રહી છે. ગઇકાલે બપોરે શંકાસ્પદ બોટ દેખાતા મરીન સીકયુરીટી દ્વારા પીછો કરેલ હતો. બન્ને બોટ માંગરોળના દરિયામાં થઇ મુંબઇ તરફ જઇ રહેલ હતી. ૪ કલાક સુધી બોટોને પીછો કરેલ હતું.
બન્ને બોટમાંથી કશું વાંધાજનક મળી ન આવતા મરીન સીકયુરીટીએ હાશકારો અનુભવેલ છે. કચ્છની બોટમાં ૮ ખલાસીઓ મળી આવ્યા હતાં.