સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ભાવનગરમાં ગ્રીનસીટી અંતર્ગત વૃક્ષોનો ટ્રી-ગાર્ડ સાથે કચ્ચરઘાણઃ ૩ વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું

ભાવનગર તા.૧૫: ગ્રિનસીટી દ્વારા શહેરને હરિયાળુ બનાવવા છેલ્લા સાત વર્ષથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે ૭૦૦૦ જેટલા વૃક્ષોનું ગ્રિનસીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષો ઝડપથી મોટા થાય તે માટે ગ્રિનસીટીના દેવનભાઇ શેઠ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને વૃક્ષોને જાતે પાણી પાઇ રહ્યા છે. પાણી પાવા માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરી છે.

પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર દ્વારા અનેક જગ્યાએ ગેસની લાઇન, મોબાઇલ ટાવર માટેની લાઇન વિગેરે માટે ખાડા ખોદવામાં આવે છે. ત્યારે જે કોન્ટ્રાકટરને આનું કામ સોંપવામાં આવે છે તેમના દ્વારા ગ્રિનસીટીના ટ્રી-ગાર્ડ અને વૃક્ષોને પારાવાર નુકશાન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ એરપોર્ટ રોડ ઉપર પાણીની લાઇન માટે મોટી સાઇઝના ભારે વજનના પાઇપ એવી રીતે ઉતારવામાં આવ્યા છે કે જેનાથી ગ્રિનસીટીએ ૩ વર્ષની મહેનત કરીને મોટા કરેલા વૃક્ષોનો ટ્રી-ગાર્ડ સાથે કચ્ચરઘાણ વળી ગયો છે.

દેવેનભાઇ શેઠએ કોર્પોરેશનને અનેકવાર ધ્યાન દોર્યું હોવા છતાં કોઇ ગંભીર પગલા લેવામાં આવ્યા નથી. એક તરફ સરકાર જ પર્યાવરણ બચાવવા માટે મોટી મોટી જાહેરાત કરે છે અને બીજી તરફ એની જ બેદરકારીના કારણે અનેક મોટા થઇ ગયેલા વૃક્ષોનો નાશ થઇ રહયો છે. દેવેનભાઇ શેઠએ જણાવ્યું છે કે જો આ બાબતે સરકાર ગંભીર પગલા નહીં લ્યે તો ઉચ્ચ કક્ષાએ આની રજુઆત કરવામાં આવશે. અને લાગતા વળગતા વિરૂદ્ધ આની માટે ફરિયાદ કરવામાં આવશે.

(2:34 pm IST)